Atal Bihari Vajpayee: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પાંચમી પુણ્યતિથિ છે. દેશ તેમને નમન કરી રહ્યો છે. બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિતના અન્ય નેતાઓ 'સદૈવ અટલ' પર શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તમામ નેતાઓએ 'અટલજી'ને યાદ કરીને ફૂલ અર્પણ કર્યા હતા. સ્પીકર ઓમ બિરલા પણ સમાધિ પર પહોંચ્યા હતા. બીજેપીના અન્ય નેતાઓ અને મંત્રીઓની સાથે એનડીએના સાથી પક્ષોના નેતાઓ પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા.










આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ કહ્યું- તેમના નેતૃત્વથી ભારતને ઘણો ફાયદો થયો છે. તેમણે અનેક ક્ષેત્રોમાં ભારતની પ્રગતિને આગળ વધારવા અને તેને 21મી સદીમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પીએમએ કહ્યું, ભારતના 140 કરોડ લોકો વતી હું અટલજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.














16 ઓગસ્ટ 2018ના રોજ અવસાન થયું


1924માં ગ્વાલિયરમાં જન્મેલા વાજપેયી દાયકાઓ સુધી ભાજપનો ચહેરો હતા અને તેઓ પ્રથમ બિન કોગ્રેસી વડાપ્રધાન હતા જેમણે પોતાનો કાર્યકાળ પૂરો કર્યો હતો. વાજપેયીએ 16 મે 1996 થી 1 જૂન 1996 અને ફરીથી 19 માર્ચ 1998 થી 22 મે 2004 સુધી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તેમણે વડાપ્રધાન મોરાજી દેસાઈની કેબિનેટમાં 1977 થી 1979 દરમિયાન ભારતના વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. 2018માં 16 ઓગસ્ટે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.


2014 માં સત્તામાં આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલજીના સન્માન માટે દર વર્ષે 25 ડિસેમ્બરે તેમના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવશે.