Delhi CM Atishi: આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી પદની શપથ લઈ લીધી છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ શનિવાર (21 સપ્ટેમ્બર)ના રોજ રાજભવનમાં આયોજિત સાદા કાર્યક્રમમાં આતિશીને સીએમ પદના શપથ લેવડાવ્યા. આની સાથે આતિશી દિલ્હીની ત્રીજી અને સૌથી ઓછી ઉંમરની મહિલા મુખ્યમંત્રી બની ગઈ છે.


આ પહેલાં આબકારી નીતિ સાથે જોડાયેલા કેસમાં તિહાર જેલમાંથી જામીન પર મુક્ત થયા બાદ 17 સપ્ટેમ્બરે અરવિંદ કેજરીવાલે સીએમ પદથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ આમ આદમી પાર્ટી ધારાસભ્ય દળની બેઠકમાં આતિશીને સર્વસંમતિથી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.






જાણો સીએમ આતિશી સહિત મંત્રીઓ વિશે


આતિશી


આપની વરિષ્ઠ નેતા આતિશી દિલ્હીના કાલકાજીથી ધારાસભ્ય છે. અરવિંદ કેજરીવાલ સરકારમાં તેઓ શિક્ષણ, પીડબ્લ્યુડી, વીજળી, પર્યટન, મહિલા અને બાળ વિકાસ મંત્રી સહિત અનેક અન્ય વિભાગોના મંત્રી હતા. તેઓ આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના પણ સભ્ય છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી 2003માં ઇતિહાસમાં તેમણે માસ્ટર ડિગ્રી મેળવી હતી. આમ આદમી પાર્ટીની સ્થાપના સમયથી જ સભ્ય છે.


સૌરભ ભારદ્વાજ


સૌરભ ભારદ્વાજ દિલ્હીની ગ્રેટર કૈલાશ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. અરવિંદ કેજરીવાલ સરકારમાં તેઓ આરોગ્ય, શહેરી વિકાસ, પ્રવાસન-કલા સંસ્કૃતિ ભાષા, ઉદ્યોગ, સિંચાઈ અને પૂર નિયંત્રણ મંત્રી હતા. આ પહેલાં તેઓ દિલ્હી જળ બોર્ડના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સૌરભ ભારદ્વાજે એક ખાનગી કંપનીમાં માઇક્રોચિપ્સ અને કોડિંગ એક્સપર્ટ તરીકે પોતાના વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી હતી.


કૈલાશ ગહલોત


કૈલાશ ગહલોત દિલ્હી દેહાતની નજફગઢ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. દિલ્હી દેહાતના મહત્વપૂર્ણ નેતા માનવામાં આવે છે. અરવિંદ કેજરીવાલ સરકારમાં તેઓ પરિવહન, મહેસૂલ, વહીવટી સુધારા, માહિતી અને ટેકનોલોજી, કાયદો, ન્યાય અને વિધાયી બાબતોની જવાબદારી સંભાળી ચૂક્યા છે. 15 ઓગસ્ટે દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં પૂર્વ સીએમની જગ્યાએ તિરંગો ફરકાવવાને કારણે તેઓ હેડલાઇન્સમાં પણ આવ્યા હતા.


ગોપાલ રાય


ગોપાલ રાય આમ આદમી પાર્ટીના દિલ્હી પ્રભારી છે. તેઓ દિલ્હી સરકારમાં સામેલ સૌથી વધુ અનુભવી નેતા છે. અરવિંદ કેજરીવાલ સરકારમાં તેઓ પર્યાવરણ અને અન્ય મંત્રાલયની જવાબદારી સંભાળી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના પણ સભ્ય છે. અન્ના આંદોલનના સમયથી જ અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલા રહ્યા છે.


ઇમરાન હુસૈન


ઇમરાન હુસૈન બલ્લીમારાન વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. મુસ્લિમ બહુલ વિસ્તારોમાં તેમની પકડ સારી છે. તેઓ બે વખતના ધારાસભ્ય છે. અરવિંદ કેજરીવાલના મંત્રીમંડળમાં ખાદ્ય અને નાગરિક પુરવઠો અને ચૂંટણી મંત્રી હતા. જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં બેચલર ઓફ બિઝનેસ સ્ટડીઝના વિદ્યાર્થી રહ્યા છે.


મુકેશ અહલાવત


દલિત નેતા મુકેશ અહલાવત દિલ્હીના સુલતાનપુર માજરાથી ધારાસભ્ય છે. મુકેશ પહેલી વખતના ધારાસભ્ય છે. તેમને 2020માં આપે સુલતાનપુરથી ટિકિટ આપી હતી. તેમની પહેલાં સંદીપ કુમાર પણ આપની ટિકિટથી સુલતાનપુર માજરાથી 2015માં ધારાસભ્ય ચૂંટાયા હતા. તે પહેલાં આ બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે. 1993થી લઈને 2013 સુધીની ચૂંટણી કોંગ્રેસ અહીંથી જીતતી આવી છે. મુકેશ અહલાવત એકમાત્ર નવો ચહેરો છે, જેમને આતિશી કેબિનેટમાં સ્થાન મળ્યું છે.


આ પણ વાંચોઃ


100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી