નવી દિલ્હી: અયોધ્યા રામ મંદિર જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં શુક્રવારે વક્ફ બોર્ડે હિંદુ પક્ષને સમર્થન આપ્યું છે. શિયા બોર્ડના વકીલે કહ્યું કે, “હાઈકોર્ટે એક તૃતીયાંશ હિસ્સો મુસ્લિમ પક્ષને આપવાનો આદેશ આપ્યો હતો, અમે તે ભાગ હિંદુઓને સોંપવા માંગીએ છીએ.” જો કે આ મામલે મુખ્ય પક્ષકાર સુન્ની વક્ફ બોર્ડ છે. જે સોમવારથી પોતાની દલીલ શરૂ કરશે.


અયોધ્યા મામલે 6 ઓગસ્ટથી સુપ્રીમ કોર્ટમાં શરૂ થયેલી સુનાવણીનો આજે સોળમો દિવસ હતો. હિંદુ પક્ષે આજે પોતાની દલીલ પૂર્ણ કરી છે. હિંદુ પક્ષકારો તરફથી રામ જન્મભૂમી જીર્ણોદ્ધાર સમિતિના વકીલ પીએન મિશ્રાએ દાવો કર્યો કે ઇસ્લામી નિયમો અનુસાર વિવાદિત ઇમારત મસ્જિદ હતી જ નઈ. તેઓએ કહ્યું કે આઠમી સદીના વિખ્યાત ઇસ્લામી વિદ્ધાન ઇમામ અબૂ હનીફાએ કહ્યું હતું કે જે ઇમારતમાં ઓછા ઓછી બે વખત અઝાન ના થતી હોય તેને મસ્જિદ ગણાવી શકાઈ નહીં. વિવાદિત બાબરી મસ્જિદમાં 70 વર્ષથી નમાજ પઢવામાં આવી નથી. આ પહેલા પણ અહીં માત્ર શુક્રવારેજ નમાજ થતી હતી.

હિંદુ પક્ષના દલીલના અંતમાં હિંદુ મહાસભાના વકીલ હરિશંકર જૈને કહ્યું, કોઈ બાહ્ય આક્રમણકારી દ્વારા થયેલા ધ્વંસને કાયદાકીય માન્યતા આપી શકાય નહીં. આ જગ્યા હજારો વર્ષોથી હિંદુઓનું આસ્થાનું કેન્દ્ર છે. તેની સાથે જોડાયેલા મામલાનો ઉકેલ પણ કાનૂન આધારે નહીં પણ ધર્મશાસ્ત્ર આધારે થવા જોઈએ.

શિયા વક્ફ બોર્ડ તરફથી વકીલે કહ્યું કે, હિંદુ પક્ષે જે કહ્યું તેનો અમે વિરોધ નથી કરી રહ્યાં, અમે ઈચ્છીએ છે કે તે જગ્યા હિંદુઓને સોંપવામાં આવે. અમે ફૈજાબાદ કોર્ટના 70 વર્ષ જૂના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે આ નિર્ણયમાં એ પણ નથી લખ્યું કે જમીન સુન્ની બોર્ડને મળશે. ચુકાદો મુસલમાનોને એક તૃતિયાંશ જમીન આપવાના પક્ષમાં હતો, જગ્યા અમારી છે અને અમે તેને હિંદુઓને સોંપવા માંગીએ છે.