નવી દિલ્હીઃ અયોધ્યા મામલા પર મધ્યસ્થતાની પ્રક્રિયાના આદેશ બાદ શુક્રવારે પહેલીવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રિમ કોર્ટે સર્વમાન્ય ઉકેલ માટે પૂર્વ ન્યાયાધીશ એફ એમ આઈ ખલીફુલ્લાની અધ્યક્ષતાવાળી મધ્યસ્થતા સમિતિના કાર્યકાળને  15 ઓગસ્ટ સુધી વધારી દીધો છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યની બંધારણીય બેન્ચે કહ્યું કે ખલીફુલ્લા મધ્યસ્થતા સમિતિનો રિપોર્ટ મળ્યો છે અને તેમણે પોતાની કાર્યવાહી પૂર્ણ કરવા માટે 15 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો છે. તેના પર કોર્ટે મધ્યસ્થતાનો સમય 15 ઓગસ્ટ સુધી વધારી દીધો છે.


ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, ‘અમે આ મામલે મધ્યસ્થા ક્યાં સુધી પહોંચી તેની જાણકારી સાર્વજનિક નથી કરી શકતા. તેને ગુપ્ત રાખવામાં આવે.’ વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કહ્યું કે, અમે કોર્ટની બહાર વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવવા સમર્થન કરીએ છે. આ મામલે બન્ને પક્ષના વકીલોએ મધ્યસ્થતાની કાર્યવાહી પ્રતિ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું કે તે આ પ્રક્રિયામાં પૂરો સહયોગ કરી રહ્યાં છે. મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એસએ બોબડે, ડીવાઇ ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ.અબ્દુલ નજીરની બંધારણીય બેન્ચ કરી રહી છે.

આ પહેલા 8 માર્ચે અયોધ્યાની ભૂમિ પર માલિકી હકના મામલાને સૉલ્વ કરવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતાની મંજૂરી આપી હતી. મધ્યસ્થોની કમિટીમાં જસ્ટીસ ઇબ્રાહિમ ખલીફૂલ્લા, વકીલ શ્રીરામ પંચૂ અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર સામેલ છે. આ કમિટીના ચેરમેન જસ્ટિસ ખલીફૂલ્લા છે.

આ કમિટીને આઠ અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યુ હતું. કોર્ટે કહ્યું હતું કે, મધ્યસ્થતા પર કોઇ મીડિયા રિપોર્ટિંગ નહીં થાય. સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતાની પ્રક્રિયાને ફૈઝાબાદમાં કરવાનો આદેશ આપ્યો હતો.