નવી દિલ્હીઃ અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા અગાઉ ઉત્તર પ્રદેશ સરકાર જ નહી પરંતુ દેશભરની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે. ગૃહ મંત્રાલયે રાજ્યોને એડવાઇઝરી જાહેર કરી સુરક્ષા વ્યવસ્થા કડક કરવાના નિર્દેશ આપ્યા છે. બીજી તરફ ભારતીય રેલવેએ પણ આ ચુકાદા અગાઉ કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ માટે રેલવે પોલીસ તરફથી તમામ ઝોનને સાત પાનાની એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં આરપીએફને તમામ જવાનોની રજાઓ રદ કરી દેવાઇ છે અને ટ્રેનોની સુરક્ષા માટે વધારાના સુરક્ષા જવાનોની તૈનાતી કરવામાં આવી રહી છે.

સૂત્રોના મતે આ એડવાઇઝરીમાં રેલવે સ્ટેશનો પાસે અને રેલવેની જમીનમાં બનેલા ધાર્મિક સ્થળોની કડક દેખરેખ રાખવાના નિર્દેશ અપાયા છે. કોઇ પણ વિપરીત સ્થિતિમાં આવા સ્થળો પર હિંસા ભડકી શકે છે. રેલવે પોલીસે દેશના 78 રેલવે સ્ટેશનોને અતિસંવેદનશીલ માન્યા છે જ્યાં સુરક્ષાની કડક વ્યવસ્થા છે. આ સ્ટેશનોમાં દિલ્હી, મુંબઇ, મહારાષ્ટ્ર સહિત ઉત્તરપ્રદેશના અનેક સ્ટેશન સામેલ છે. સૂત્રોના મતે અયોધ્યાના નિર્ણયને જોતા તમામ  રાજ્યો માટે એડવાઇઝરી જાહેર કરાઇ છે. તમામ રાજ્યોને એલર્ટ રહેવાના  નિર્દેશ અપાયા છે.