Vice-Presidential Election:મંગળવારે (19 ઓગસ્ટ 2025) ઇન્ડિયા એલાયન્સ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદ માટે નિવૃત્ત ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. આ દરમિયાન શરદ પવાર અને ગઠબંધનના ઘણા મોટા નેતાઓ તેમની સાથે હાજર હતા.
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને ગોવાના લોકાયુક્ત બી. સુદર્શન રેડ્ડીનો જન્મ 1946માં આંધ્રપ્રદેશમાં થયો હતો. તેઓ ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે હૈદરાબાદમાં પોતાનો અભ્યાસ કર્યો અને 1971માં ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી.
બી. સુદર્શન રેડ્ડી કોણ છે?
બી. સુદર્શન રેડ્ડી 27 ડિસેમ્બર, 1971 ના રોજ હૈદરાબાદ ખાતે આંધ્ર પ્રદેશ બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધાયેલા હતા. તેમણે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં રિટ અને સિવિલ કેસોમાં પ્રેક્ટિસ કરી છે. તેમણે 1988-90 દરમિયાન હાઈકોર્ટમાં સરકારી વકીલ તરીકે સેવા આપી હતી. તેમણે 1990 દરમિયાન 6 મહિના માટે કેન્દ્ર સરકારના વધારાના સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે પણ સેવા આપી હતી.
બી. સુદર્શન રેડ્ડીએ ઓસ્માનિયા યુનિવર્સિટીના કાનૂની સલાહકાર અને સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે પણ સેવા આપી હતી. 2 મે, 1995 ના રોજ તેમને આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 5 ડિસેમ્બર, 2005 ના રોજ તેમને ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 12 જાન્યુઆરી, 2007 ના રોજ, તેમને ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ 8 જુલાઈ, 2011 ના રોજ નિવૃત્ત થયા હતા.
ઈન્ડિયા ગઠબંધને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે રાધાકૃષ્ણનનની સામે બાલકૃષ્ણ સુદર્શન રેડ્ડીને મેદાને ઉતારવા નિર્ણય કર્યો છે. બી. સુદર્શન રેડ્ડી સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ રહી ચૂકયાં છે તેમજ તેઓ ગોવાના લોકાયુક્ત તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.ખડગેના મતે, તમામ વિપક્ષી પક્ષો સાથે ચર્ચા કર્યા પછી, સુદર્શન રેડ્ડીનું નામ નક્કી કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીએ પણ રેડ્ડીના નામને ટેકો આપ્યો છે.
સરકાર સાથે સર્વસંમતિ ન બનીસરકારે ઉપરાષ્ટ્રપતિના નામ પર સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાબતો સફળ ન થઈ. NDA એ બે દિવસ પહેલા સીપી રાધાકૃષ્ણનનું નામ જાહેર કર્યું હતું. આ પછી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને તમામ પક્ષો સાથે વાત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. બી સુદર્શન રેડ્ડી પહેલા, ડીએમકેના તિરુચી શિવનું નામ પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ ઈન્ડિયા એલાયન્સે તેલંગાણાથી આવતા સુદર્શનને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય લીધો છે.
