Bathinda Military Station: ભટિંડા મિલિટરી સ્ટેશન પર ગોળી વાગવાથી અન્ય એક જવાનનું મોત થયું હતું. ભારતીય સેનાએ આ સમાચારને અકસ્માત ગણાવ્યો છે, તેમનું કહેવું છે કે આ દુર્ઘટના હથિયારોની જાળવણી દરમિયાન થઈ હતી.


ભટિંડા કેન્ટ પોલીસ સ્ટેશનના એસએચઓ ગુરદીપ સિંહે જણાવ્યું હતું કે, "પંજાબના ભટિંડામાં ગઈકાલે રાત્રે એક આર્મી જવાનનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું, કારણ કે તેનું સર્વિસ હથિયારથી ભૂલથી ગોળી છૂટી હતી " તેમણે કહ્યું કે, માર્યા ગયેલા જવાનની ઓળખ લધુ રાજ શંકર તરીકે થઈ છે.


ભારતીય સેનાએ શું કહ્યું?


ભારતીય સેનાએ કેન્ટમાં બનેલી આ ઘટના વિશે જણાવ્યું કે, ગઈકાલે ભટિંડા મિલિટરી સ્ટેશન પર ગોળીબારના કારણે એક જવાન શહીદ થયો હતો. કોન્સ્ટેબલ તેના સર્વિસ હથિયાર સાથે સંત્રી ડ્યુટી પર હતો. કોન્સ્ટેબલ પાસેથી માત્ર એક હથિયાર અને કારતુસનું એક બોક્સ મળી આવ્યું છે. સેનાએ કહ્યું કે, દુર્ઘટના બાદ તરત જ સૈનિકને તાત્કાલિક સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હતું.






સેનાએ વધુમાં જણાવ્યું હતું કે, સૈનિક 11 એપ્રિલે રજા પરથી પરત ફર્યો હતો, પ્રાથમિક દૃષ્ટિએ તે કથિત આત્મહત્યાનો પ્રયાસ હોવાનું જણાય છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે આ ઘટનાને બુધવારે ભટિંડા મિલિટરી સ્ટેશન પર બનેલી ઘટના સાથે કોઈ લેવાદેવા નથી.


ગઈકાલે ભટિંડા કેન્ટમાં શું થયું?


પંજાબના ભટિંડામાં મિલિટરી સ્ટેશન પર બુધવારે (12 એપ્રિલ) વહેલી સવારે થયેલા ફાયરિંગમાં ચાર સૈનિકો માર્યા ગયા હતા. સેનાના નિવેદન અનુસાર, બુધવારે સવારે લગભગ 4.30 વાગ્યે, બે વ્યક્તિઓએ આર્ટિલરી યુનિટમાં મેસની પાછળની બેરેક પાસે સૂતેલા ચાર સૈનિકોને ગોળી મારી દીધી હતી.


ભટિંડા મિલિટરી સ્ટેશન ફાયરિંગ કેસમાં, એફઆઈઆર મુજબ, ચાર જવાન - સાગર, કમલેશ, સંતોષ અને યોગેશ તેમની ફરજ પૂર્ણ કર્યા પછી તેમના રૂમમાં સૂઈ રહ્યા હતા, ત્યારે સફેદ કુર્તા પાયજામા પહેરેલા બે માસ્ક પહેરેલા લોકોએ તેમના પર રાઈફલ અને ધારદાર હથિયારોથી હુમલો કર્યો. આ ઘટનામાં ચાર જવાન શહીદ થયા હતા. પોલીસ અધિક્ષક (તપાસ) અજય ગાંધીએ બુધવારે જણાવ્યું કે ઘટનાસ્થળેથી ઇન્સાસ રાઇફલના 19 ખાલી શેલ મળી આવ્યા છે. પાકિસ્તાન સરહદથી લગભગ 100 કિમી દૂર સ્થિત એશિયાના સૌથી મોટા સૈન્ય મથક પર બુધવારે સવારે લગભગ 4.35 વાગ્યે ગોળીબાર થયો હતો.