Mamata Banerjee resign: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કારમી હારનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડાં મમતા બેનર્જીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે પોતાની હાર સ્વીકારવાનો ઇનકાર કરતા સ્પષ્ટ કહ્યું છે કે તેઓ હાર્યા નથી, પણ તેમને હરાવવામાં આવ્યા છે. મમતાએ આ આખી ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણી પંચને સૌથી મોટું 'વિલન' (ખલનાયક) ગણાવ્યું છે અને ઈવીએમમાં ગરબડ તેમજ ભાજપ સાથે સાંઠગાંઠ હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજીનામું આપવાના નથી અને હવે એક સામાન્ય માણસ તરીકે વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' ને મજબૂત કરવાનું કામ કરશે.

પોતાની હાર અંગે બળાપો કાઢતા મમતા બેનર્જીએ સવાલ ઉઠાવ્યો કે, "જ્યારે હું હારી જ નથી, તો પછી હું રાજીનામું કેમ આપું? કોઈ મને રાજીનામું આપવાની ફરજ પાડી શકે નહીં. નૈતિક રીતે જોવા જઈએ તો હું જ જીતી છું, એટલે હું લોકભવનમાં જઈને રાજીનામું નહીં આપું." વધુમાં તેમણે કહ્યું કે આ કપરા સમયમાં વિપક્ષના તમામ મોટા નેતાઓ તેમની પડખે ઉભા છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, ઉદ્ધવ ઠાકરે, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ અને હેમંત સોરેન જેવા નેતાઓએ તેમને ફોન કરીને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું કે અખિલેશ યાદવ તો આજે જ તેમને મળવા આવવાના હતા, પણ તેઓ કાલે આવશે. મમતાને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં વિપક્ષી એકતા વધુ મજબૂત થશે.

પોતાના ભવિષ્યના આયોજન વિશે વાત કરતા ટીએમસી પ્રમુખે કહ્યું કે, "હવે મારી પાસે સત્તાની ખુરશી નથી, એટલે હું એક સામાન્ય માણસ છું અને હવે હું ઈન્ડિયા ગઠબંધનને વધુ મજબૂત બનાવીશ. હવે કોઈ એમ નહીં કહી શકે કે હું મારી સત્તા કે ખુરશીનો ઉપયોગ કરી રહી છું. હું હવે એકદમ મુક્ત પક્ષી (ફ્રી બર્ડ) છું." તેમણે પોતાના 15 વર્ષના શાસનને યાદ કરતા કહ્યું કે તેમણે પોતાનું આખું જીવન લોકોની સેવામાં સમર્પિત કરી દીધું છે અને આ 15 વર્ષોમાં તેમણે પોતાના પેન્શન કે પગારનો એક પણ પૈસો પોતાના માટે લીધો નથી.

બંગાળમાં TMCએ હાર સ્વીકારી, અભિષેક બેનર્જીની પહેલી પ્રતિક્રિયા - 'જનતાનો ચુકાદો...'

ચૂંટણી પંચ પર નિશાન સાધતા મમતા બેનર્જીએ અત્યંત ગંભીર આરોપો લગાવ્યા. તેમણે કહ્યું કે, "આ બહુ દુઃખની વાત છે કે ચૂંટણી પંચ આ ચૂંટણીમાં વિલન બની ગયું છે. તેમણે લોકોના બંધારણીય અધિકારો છીનવી લીધા છે અને ઈવીએમ (EVM) ની ચોરી કરી છે. મતદાન પૂરું થયા પછી પણ ઈવીએમ 80-90 ટકા ચાર્જ થયેલા કેવી રીતે હોઈ શકે?" આ ઉપરાંત તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણીના બે દિવસ પહેલા જ તેમના નેતાઓની ધરપકડ થવા લાગી, દરોડા પડ્યા અને બધા IPS તથા IAS અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી.

દેશની 70% વસ્તી પર હવે ભાજપનું રાજ? બંગાળની જીત સાથે બદલાયો ભારતનો રાજકીય નકશો

તેમણે ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતનો દાવો કરતા કહ્યું કે, "આ આખી રમત ભાજપ અને ચૂંટણી પંચે ભેગા મળીને રમી છે. તેમણે પોતાના માનીતા અધિકારીઓને પસંદ કર્યા. અમે કોઈ એક પક્ષ સામે નહીં, પરંતુ આખી સિસ્ટમ સામે લડ્યા છીએ. વડાપ્રધાન અને ગૃહમંત્રીએ આમાં સીધી દખલગીરી કરી છે." તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે મતદાર યાદીમાંથી 90 લાખ લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા, અને જ્યારે તેઓ કોર્ટમાં ગયા ત્યારે માંડ 32 લાખ નામ પાછા ઉમેરાયા. મમતાએ અંતમાં કહ્યું કે તેમણે પોતાના જીવનમાં ક્યારેય આવી ગંદી અને ઘૃણાસ્પદ ચૂંટણી જોઈ નથી.