પુણેઃ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાનૂન સામે દેશભરમાં ખેડૂતોના સમર્થનમાં સામાજિક કાર્યકર્તા અન્ના હજારે એક દિવસના અનશન પર બેઠા છે. તેમણે કહ્યું કે, દેશમાં સરકાર પર દબાણ બને અને ખેડૂતોના હિતમાં પગલા લેવામાં આવે તેથી આંદોલન થવું જોઈએ. હાલ સોશિયલ મીડિયા ટ્વિટર પર હેશટેગ અન્ના હજારે ટ્રેન્ડ થઈ રહ્યું છે.


હજારેએ એક રેકોર્ડેડ સંદેશમાં કહ્યું, હું દેશના લોકોને અપીલ કરું છું કે દિલ્હીમાં જે આંદોલન ચાલી રહ્યું છે તે સમગ્ર દેશમાં ચાલવું જોઈએ. સરકાર પર દબાણ બનાવવા આવી સ્થિતિ ઉભી કરવી જરૂરી છે અને આ માટે ખેડૂતોએ સડકો પર ઉતરવું પડશે, પણ કોઈ હિંસા ન કરે.

તેઓ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાલેગણ સિદ્ધિ ગામમાં અનશન પર બેઠા છે. તેણે કહ્યું, ખેડૂતો માટે સડક પર ઉતરવું અને મુદ્દાનો ઉકેલ લાવવાનો યોગ્ય સમય છે. મેં પહેલા પણ આ મુદ્દાનું સમર્થન કર્યુ છે અને આગળ પણ કરતો રહીશ. સરકાર માત્ર આશ્વાસન આપે છે, પણ ક્યારેય માંગ પૂરી કરતી નથી.

અનેક રાજ્યોમાં ભારત બંધની અસર જોવા મળી રહી છે. અમુક જગ્યાએ ચક્કાજામની કોશિશ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશમાં કાર્યકર્તાઓ દ્વારા ટ્રેન રોકવામાં આવી છે, જ્યારે ઘણા સ્થાનો પર કેન્દ્ર સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે.