નવી દિલ્હી: 15 દિવસ પહેલા કોવિડ-19ની રસી લીધા બાદ પણ હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. વેક્સીન લીધા બાદ પણ કોરોના પોઝિટિવ આવતા હવે વેક્સીન પર સવાલો ઉઠી રહ્યાં છે. હવે તેને લઈને વેક્સિન વિકસિત કરનાર ભારત બાયોટેકે સ્પષ્ટતા કરી છે.


અનિલ વિજે કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી ખુદ ટ્વીટર પર આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હું કોરોનાથી સંક્રમિત થયો છું. હાલ સિવિલ હોસ્પિટલ અંબાલા કેન્ટમાં દાખલ થયો છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓને સલાહ છે કે, પોતાનો કોરોના ટેસ્ટ કરાવે.

હવે આ મામલાને લઈ ભારત બાયોટેકે સ્પષ્ટતા કરતા કહ્યું કે, કોવેક્સીન ક્લીનિકલ ટ્રાયલના બે ડોઝ શેડ્યૂલ આધારિત છે. જે 28 દિવસના અંતરાલ બાદ આપવામાં આવે છે. આ વેક્સીનની અસર બીજા ડોઝના 14 દિવસ બાદ ખબર પડે છે. બન્ને ડોઝ લીધા બાદ જ કોવેક્સીન અસર કરે છે.


ઉલ્લેખનીય છે કે, ભારત બાયોટેક અને ICMRની વેક્સીન કોવેક્સીનના ત્રીજા તબક્કામાં પરીક્ષણ ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યમાં ટ્રાયલ દરમિયાન અનિલ વિજે વોલિન્ટિયર તરીકે Covaxinની રસી લીધી હતી. સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે પહેલા જ જાહેરાત કરી હતી કે, તેઓ કોવેક્સીન ટ્રાયલમાં વોલિન્ટિયર તરીકે ખુદ સૌથી પહેલા કોરોનાની રસી લેશે.


ઉલ્લેખનીય છે કે, વેક્સીનનું પ્રથમ અને બીજા તબક્કાના ટ્રાયલ અને વિશ્લેષણ સફળ રહ્યું છે અને 20 નવેમ્બરથી ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરુ કરવામાં આવ્યું છે. પ્રથમ અને બીજા તબક્કાના માનવ પરીક્ષણમાં કુલ એક હજાર વોલિન્ટિયર્સને આ વેક્સીન લગાવી હતી. આ વેક્સીનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ ભારતમાં 25 કેન્દ્રોમાં 26 હજાર લોકો સાથે કરવામાં આવી રહ્યું છું. આ કોવિડ -19 વેક્સીન માટે આયોજિત થનાર સૌથી મોટું હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ છે.