બાઇડેનની જીતથી ભારતીયો માટે આવી શકે છે સારા સમાચાર, પાંચ લાખ ભારતીયોને મળશે....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Nov 2020 07:40 AM (IST)
જો બાઈડેન ચૂંટણી પ્રચારમાં વીઝા, ઇમિગ્રેશનને લઈને મોટા સુધારાઓ લાગુ કરવાનું વચન આપી ચૂક્યા છે.
નવી દિલ્હીઃ બાઇડેનની જીતની સાથે જ ભારતીઓ માટે સારા સમાચાર આવી શકે છે. બાઈડેન પાંચ લાખ ભારતીયોને નાગરિકતાનો માર્ગ મોકળો કરી શકે છે. અમેરિકામાં એક કરોડથી પણ વધુ એવા લોકો છે કે જેઓ ટેકનિકલ કારણોસર ત્યાંનું નાગરિકત્વ મેળવી શક્યા નથી. તેમાં પાંચ લાખ ભારતીય છે. જો બાઈડેન ચૂંટણી પ્રચારમાં વીઝા, ઇમિગ્રેશનને લઈને મોટા સુધારાઓ લાગુ કરવાનું વચન આપી ચૂક્યા છે. ત્યારે દર વર્ષે સવા લાખ શરણાર્થીઓને પ્રવેશ આપવાનું લક્ષ્યાંક નક્કી કરશે. આ સાથે વર્ષે ઓછામાં ઓછા 95 હજાર શરણાર્થીઓને પ્રવેશ અપાવવા કામ કરી શકે છે. તો નજીકના સમયમાં એચ-1બી સહિત હાઈ-સ્કીલ્ડ વિઝાની સંખ્યા પણ વધારશે અને વિવિધ દેશોની રોજગાર આધારિત વિઝા પરની મર્યાદા દૂર કરશે. બાઈડેનના આ બંને પગલાંથી હજારો ભારતીય પ્રોફેશનલ્સને લાભ મળવાની સંભાવના છે. કારણ કે ટ્રમ્પે એચ-1બી વિઝાધારકોના જીવનસાથીના કામ કરવા પર પ્રતિબંધ મૂકતાં ભારતીય વસાહતીઓને મોટો ફટકો પડયો હતો.