નવી દિલ્હીઃ કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે આખા દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. પરંતુ આ કારણે અનેક મજૂરો રસ્તામાં ફસાઇ ગયા છે. આવા લોકોને રહેવા, ખાવા-પીવા અને પરિવહનની સુવિધા મળી રહી નથી. વાસ્તવમાં લોકડાઉન બાદ મોટા શહેરોમાં એવી સ્થિતિ પેદા થઇ છે કે રોજ કમાઇને ખાનારા મજૂરો માટે ત્યાં રહેવું મુશ્કેલ બન્યું છે. કારણ કે તેમની પાસે કોઇ કામ નથી. કામ ન હોવાના કારણે પૈસા નથી અને પૈસા નથી તો જમવાનું મુશ્કેલ થઇ રહ્યું છે. જેના કારણે મજબૂરીમાં મજૂરો પોતાના નાના-નાના બાળકો અને પરિવારો સાથે ચાલતા જ પોતાના ગામડે જવા નીકળી પડ્યા હતા.

મુખ્યમંત્રી નીતિશ કુમારે આ પ્રકારના મજૂરો માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 100 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે બિહારના લોકો જે લોકડાઉનના કારણે અન્ય રાજ્યોમાં ફસાયા છે તેમને લઇને રાજ્ય સરકારે વિશેષ યોજના બનાવી છે. જે લોકો જ્યાં ફસાયા છે તેમને ત્યાં જ રાખીને જમવાની અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, દિલ્હી સ્થિત રેજિડેન્ટ કમિશનર વિપિન કુમારને તમામ વ્યવસ્થા સુનિશ્વિત કરવાની જવાબદારી સોંપી છે.