નવી દિલ્હીઃ ભારતમાં લોકડાઉનનો આજે બીજો દિવસ છે. દેશમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા વધીને 649 પર પહોંચી ગઈ છે, જ્યારે 13 લોકોના મોત થઈ ચુક્યા છે. 43 લોકો સાજા થઈ ગયા છે.


આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રીને નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેણે કોરોના સામે લડવા સરકારના પગલાની પ્રશંસા કરી છે અને લોકડાઉનનું સમર્થન કર્યું છે. સોનિયા ગાંધીએ લખ્યું, કોરોના વાયરસ સામે લડવા તમારી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનનું અમે સમર્થન કરીએ છીએ. આ મહામારી રોકવા માટે ભરવામાં આવી રહેલા દરેક પગલામાં અ સરકારને સહયોગ આપીશું જેનો હું વિશ્વાસ અપાવું છું.

પત્રમાં એમ પણ લખવામાં આવ્યું છે કે, કોરોના વાયરસની મહામારીએ લાખો લોકોનું જીવન ખતરામાં નાંખી દીધું છે તથા સમગ્ર દેશમાં ખાસ કરીને સમાજના સૌથી નબળા વર્ગની આજીવિકા અને દૈનિક જીવન પર પ્રતિકૂળ અસર પડી છે. કોરોના મહામારી રોકવા તથા હરાવવાના સંઘર્ષમાં સમગ્ર દેશ સંગઠિત થઈને ઉભો છે.

સોનિયા ગાંધીએ પત્રમાં લખ્યું કે, મજૂરો અને ગરીબોને રાહત આપવા ન્યાય યોજના લાગુ કરવી જોઈએ અને સીધી જ તેમને આર્થિક મદદ મોકલવી જોઈએ. આ સંકટના સમયમાં ખેડૂતોની બાકી રકમની વસૂલાત છ મહિના માટે રોકી દેવી જોઈએ અને નવેસરથી ખેડૂતોના ઋણમુક્તિ અંગે નિર્ણય લેવો જોઈએ.

આ ઉપરાંત નાન તથા મધ્યમ ઉદ્યોગોનો ઉલ્લેખ કરી કહ્યું, કેન્દ્ર સરકારે દરેક સેકટર માટે વિશેષ રાહત પેકેજની જાહેરાત કરવી જોઈએ.