પટનાઃ બિહારમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે નવો આદેશ જાહેર કરીને લોકડાઉનને 16 ઓગસ્ટ સુધી લંબાવવાનો ફેંસલો કર્યો છે. ઓર્ડરમાં બિહાર સરકારે કહ્યું છે કે છેલ્લા ત્રણ સપ્તાહમાં રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘણો વધારો થયો છે.


બિહાર સરકારે આ અંગેની નવી લોકડાઉન ગાઇડલાઇન બહાર પાડી છે. જે પ્રમાણે સરકારી ઓફિસો અને તેને સંલગ્ન ઓફિસો 50 ટકા કર્મચારીઓ સાથે કાર્યરત રહેશે. આવી જ રીતે કોમર્શિયલ અને પ્રાઇવેટ ઓફિસોને પણ 50 ટકા સ્ટાફ સાથે ખોલવાની મંજૂરી અપાઈ છે.


બિહારે પહેલાથી જ લોકડાઉન 31 જુલાઈ સુધી લાદયું હતું પરંતુ હવે તેને 16 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે. લોકડાઉન લગાવવા છતાં બિહારમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો નથી.

સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે બિહારમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 45,919 પર પહોંચી છે અને 269 લોકોના મોત થયા છે. રાજ્યમાં 28,856 લોકો સંક્રમત મુક્ત થઈ ગયા છે અને 14,718 એક્ટિવ કેસ છે.