નવી દિલ્હીઃ નવા વર્ષે દુલ્હન બનવા જઈ રહેલ યુવતીઓ માટે ખુશખબર છે. દુલ્હનને સરકાર તરફથી 10 ગ્રામ સોનું ભેટમાં આપવામાં આવશે. આ સ્કીમ 1 જાન્યુઆરી, 2020થી લાગુ થવા જઈ રહી છે. આ યોજનાનો લાભ લેવા માટે કેટરીક શરતો પણ રાખવામાં આવી છે. આ સ્કીમ અસમ સરકાર લાગુ કરવા જઈ રહી છે. અસમની ભાજપ સરકારે આ યોજનાની જાહેરાત થોડા મહિના પહેલા જ કરી હતી. અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે આ યોજનાનું નામ ‘અરૂંધતિ સ્વર્ણ યોજના’ આપ્યું છે.


આ યોજનાનો લાભ ઉઠાવા માટે શરતો અનુસાર દુલ્હનના પરિવારજનોએ લગ્નનું સ્પેશ્યલ મેરેજ એકટ 1954 અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. દુલ્હને કમ સે કમ 10મા સુધીનો અભ્યાસ કર્યો હોય. છોકરીઓના લગ્ન થઇ રહ્યા છે તેની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને છોકરાની 21 વર્ષની ઉંમર હોવી જોઇએ. આ સિવાય દુલ્હનના પરિવારની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ. અરૂંધતિ સ્વર્ણ યોજનાનો લાભ છોકરીના પહેલાં લગ્ન પર જ મળશે એટલે કે બીજા લગ્ન કરવા પર આ યોજનાનો લાભ મળશે નહીં.

દુલ્હનને 10 ગ્રામના ઝવેરાત મળશે નહીં એટલે કે ગિફ્ટમાં સોનું ફિઝિકલ ફોર્મમાં અપાશે નહીં. લગ્નનું રજીસ્ટ્રેશન અને વેરિફિકેશન બાદ 30000 રૂપિયા દુલ્હનના બેન્ક એકાઉન્ટમાં જમા કરાશે. ત્યારબાદ દુલ્હનના પરિવારજનો દ્વારા ખરીદવામાં આવેલા 30000 રૂપિયાના ઝવેરાતનું બિલ સબમિટ કરાવું પડશે. જો કે સરકારનો ઉદ્દેશ છે કે પૈસાનો ઉપયોગ કોઇ બીજા કામમાં કરાશે નહીં.