નવી દિલ્હીઃ કાશ્મીર મુદ્દે મોદી સરકાર કંઇક નવુ કરવાની ફિરાકમાં છે, હવે આ વાતનો ભેદ ખુદ કેન્દ્રીય મંત્રીએ ખોલી દીધો છે. મોદી સરકારના કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, હવે મોદી સરકારનો એજન્ડા પીઓકે (PoK) પાછુ મેળવવાનો છે.


મોદી સરકારની 100 દિવસની મોટી ઉપલબ્ધિઓને ગણાવતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે મંગળવારે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી મોદી સરકારની મોટી ઉપલબ્ધિ છે. હવે મોદી સરકાર અને અમારો નેક્સ્ટ એજન્ડા પાકિસ્તાની કબજા વાળુ કાશ્મીર એટલે PoK ફરીથી પાછુ મેળવવાનું છે, પીઓકે ભારતનું અભિન્ન અંગ છે.


જિતેન્દ્ર સિંહે પાકિસ્તાન અને કાશ્મીર મુદ્દે બોલતા કહ્યું કે, આ માત્ર મારી કે મારી પાર્ટીની પ્રતિબદ્ધતા નથી, પણ આ 1994માં પી વી નરસિમ્હા રાવના નેતૃત્વ વાળી તત્કાલિન કોંગ્રેસ સરકાર દ્વારા સર્વસંમતિથી પારિત સંકલ્પ હતો, આ એક સ્વીકાર્ય મત છે.



ઉલ્લેખનીય છે કે 5મી ઓગસ્ટે કેન્દ્રની મોદી સરકારે એક સંકલ્પ રજૂ કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધો, સાથે કલમ 370 પણ નાબુદ કરી દીધી હતી.