મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપની સરકારમાં સમાન હિસ્સેદારી માંગી રહેલી શિવસેના નેતાઓના નિવેદન વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગઠબંધનમાં તેમની પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે અને આગામી પાંચ વર્ષ ભાજપના નેતૃત્વમાં સરકાર ચાલશે. તેમણે કહ્યું કે, ભાજપના નેતૃત્વમાં ગઠબંધન રાજ્યમાં એક સ્થિર સરકાર આપશે.


ફડણવીસે કહ્યું કે, સરકાર બનાવવાની પ્રક્રિયા દિવાળી બાદ શરૂ થશે. તેમણે કહ્યું કે, લોકોએ ભાજપ, શિવસેના, આરપીઆઇ, આરએસપી, શિવ સંગ્રામના ગઠબંધનને બહુમત આપ્યો છે અને નિર્ણયનું સન્માન આપશે. કોઇને કોઇ શંકા થવી જોઇએ નહી.

ફડણવીસે કહ્યું કે, નિર્ણય અનુસાર ભાજપ સૌથી મોટી પાર્ટી છે. અમે દિવાળી બાદ ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરીશું અને ત્યારબાદ નવી સરકાર બનાવીશું. ભાજપના નેતૃત્વ ધરાવતી સરકાર મજબૂત અને સ્થિર સરકાર આપશે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી પાર્ટી શિવસેનાએ કડક વલણ અપનાવતા કહ્યું કે, તેમને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ જોઇએ અને ભાજપના નેતૃત્વએ આ લેખિતમાં આપવું પડશે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં સાથે મળીને ચૂંટણી લડનાર ભાજપને 288 બેઠકોમાંથી 105 જ્યારે શિવસેનાએ 56 બેઠકો જીતી છે.