આજે દિવાળીના દિવસે બપોરે 2.15 વાગ્યે મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સાથે જ એ પણ નક્કી થઈ જશે કે કોણ-કોણ મંત્રીમંડળમાં સામેલ થશે. અટકળો મુજબ અનિલ વિજ અને બનવારી લાલની સાથે કેટલાક નવા ચહેરાઓ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે.
ખટ્ટરે જણાવ્યું કે 57 ધારાસભ્યો, જેમાં ભાજપના 40, જેજેપીના 10 અને સાત અપક્ષ ધારાસભ્યો સામેલ છે. તેમના સમર્થન સાથે સરકાર બનાવવા માટે રાજ્યપાલ સમક્ષ દાવો કરવામાં આવ્યો છે. હરિયાણા વિધાનસભામાં કુલ 90 બેઠકો છે જેમાં બહુમત માટે 46 બેઠકો જરૂરી છે. ખટ્ટરે જણાવ્યું કે હરિયાણાના રાજ્યપાલે અમને રવિવારે સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે.