પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકારની મુશ્કેલીનો કોઈ અંત નથી. પક્ષના વરિષ્ઠ નેતા દિનેશ ત્રિવેદીએ શુક્રવારે રાજ્યસભામાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી અને તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ છે.


સાથે જ ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પૈકી એક બેઠક પર દિનેશ ત્રિવેદીને ભાજપ ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલે એવી પણ ચર્ચા છે. તેઓ મૂળે ગુજરાતી હોવાથી તેમને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે, તેવી ગુજરાતના રાજકીય વર્તુળોમાંથી ચર્ચા ચાલી રહી છે.

તેમણે ગઈકાલે કહ્યું કે પક્ષમાં હવે તેમનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં અત્યાચાર અને હિંસા થઈ રહી છે. મારો આત્મા કહે છે કે રાજીનામું આપી દો અને બંગાળની જનતા વચ્ચે જઈને રહો. બંગાળમાં છેલ્લા બે મહિનાની અંદર TMCના 10 દિગ્ગજ નેતાઓ ભાજપનો હાથ પકડ્યો છે.

TMCને છોડીને ભાજપમાં જોડાવાનો સિલસિલો 19 ડિસેમ્બરથી વધી ગયો. જ્યારે શુભેન્દુની સાથે સાથે સુનીલ મંડલ, પૂર્વ સાંસદ દશરથ તિર્કી અને 10 ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતા અને હવે દિનેશ ત્રિવેદી પણ ભાજપમાં જોડાઈ શકે છે.