નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે જે.પી નડ્ડાના નામ પર મહોર લગાવવામાં આવી છે.  તેમણે ચૂંટણી પ્રક્રિયા હેઠળ સોમવારે પાર્ટીના મુખ્યાલયમાં આ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેઓ બિનહરીફ ચૂંટાયા છે.


2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ તેમણે યુપીની જવાબદારી સોંપી હતી. યૂપીમાં ભાજપે 80માંથી 62 બેઠકો પર જીત મેળવી હતી. જૂન 2019માં નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા.

મૂળ હિમાચલ પ્રદેશના અને બિહારમાં જન્મેલા જગત પ્રકાશ નડ્ડા લાંબા સમયથી ભાજપના રાષ્ટ્રીય રાજનીતિનો ભાગ રહ્યા છે. પ્રથમવાર તેઓ 1993માં હિમાચલ પ્રદેશમાં વિધાનસભામાં પહોંચ્યા હતા. જગત પ્રકાશ નડ્ડાનો જન્મ 2 ડિસેમ્બર 1960માં પટણામાં થયો હતો.

જેપી નડ્ડાએ પોતાની કરિયરની શરૂઆત 1975માં સંપૂર્ણ ક્રાંતિ આંદોલનનો ભાગ બની કરી હતી.  પટણામાં જ સ્કૂલથી લઈને કોલેજ સુધીનો અભ્યાસ કર્યો અને વિદ્યાર્થી સંગઠન એબીવીપી સાથે જોડાયા. ત્યારબાદ તેઓ પોતાના ગૃહરાજ્ય હિમાચલ પ્રદેશ જતા રહ્યા અને એલએલબી કર્યું.

2012માં હિમાચલ પ્રદેશમાંથી તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. આ બાદ 2014માં ભાજપની સરકાર આવતા સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. જેપી નડ્ડાને PM મોદી અને અમિત શાહના ખાસ માનવામાં આવે છે.