જમ્મુ: પીડીપી સાથેનું ગઠબંધન તોડ્યા બાદ પહેલીવાર અમિત શાહ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા. શનિવારે જનસંઘના સ્થાપક ડૉ શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર ભાજપ નેતાએ મોટી રેલી યોજી હતી. અમિત શાહે રેલીને સંબોધી હતી. અમિત શાહે કહ્યું જમ્મુ-કાશ્મીર સાથે અમારો લોહીનો સંબંધ છે. શ્યામા પ્રસાદ મુખર્જીએ અહીં બલિદાન આપ્યું છે. તેમના દ્વારા કરવામાં આવેલા આંદોલનો અને તેમના બલિદાનોનું જ આ પરિણામ છે કે જેના કારણે જમ્મુ અને કાશ્મીરમાંથી પરમિટ વ્યવસ્થા ખતમ થઇ છે.

અમિત શાહે કહ્યું, ભારતીય જનતા પાર્ટી માટે સરકાર નહીં પરંતુ જમ્મુ-કાશ્મીરના વિકાસ અને તેની સુરક્ષા એકમાત્ર ઉદ્દેશ છે. કહ્યું, જે 70 વર્ષોમાં ન થયું તે મોદી સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિકાસ માટે કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ રાજ્યની સરકાર દ્વારા કોઇ વિકાસકાર્યને આગળ વધારવામાં ન આવ્યું.

રેલીને સંબોધન કરતા અમિત શાહે કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, કૉંગ્રેસ જણાવે કે તેની પાર્ટી અને લશ્કર સાથે શું સંબંધ છે. કોંગ્રેસના નેતા કાશ્મીર સંબંધે નિવેદન કરે છે અને લશ્કર-એ-તોઈબા તેને સમર્થન આપે છે. શું રાહુલ ગાંધી જવાબ આપશે કે કૉંગ્રેસ અને LeTની વચ્ચે શું સંબંધ છે?

અમિત શાહે કહ્યું, હું જમ્મુ અને કાશ્મીરની જનતાને વિશ્વાસ આપું છું કે કોંગ્રેસ પાર્ટી કેટલા પણ ષડયંત્ર કરી લે પરંતુ કોઈ પણ જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ નહીં કરી શકે.

આજે સમગ્ર દેશ રાહુલ ગાંધીજી પાસેથી જાણવા માંગે છે કે આ કેવો સંબંધ છે જે લશ્કરે-એ-તોઈબા અને ગુલાબ નબી આઝાદના વિચાર સમાન થઈ જાય છે. સૈફુદ્દીન સોઝ સાહેબ, ભાજપ ક્યારેય જમ્મુ-કાશ્મીરને ભારતથી અલગ નહીં થવા દે. જમ્મુ-કાશ્મીર હિન્દુસ્તાનનો અતૂટ હિસ્સો છે. શ્યામા પ્રસાદ મુખર્જીએ તેને પોતાના લોહીથી સીંચ્યો છે.