TMC Supreme Court appeal: પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં મતદાર યાદીમાંથી લાખો લોકોના નામ કમી કરવાના મુદ્દે તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમ કોર્ટના શરણે પહોંચી છે. TMC નો દાવો છે કે 31 જેટલી વિધાનસભા બેઠકો પર હાર-જીતનું અંતર મતદાર યાદીમાંથી રદ કરાયેલા લોકોની સંખ્યા કરતાં ઘણું ઓછું છે. પાર્ટીનું કહેવું છે કે બંગાળમાં ભાજપ કુલ 32 લાખ મતોના માર્જિનથી જીત્યું છે, જ્યારે 35 લાખ લોકોના મતો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ બાકાત રાખવામાં આવ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવાની ખાતરી આપી છે અને TMC ને યોગ્ય અરજી દાખલ કરવા નિર્દેશ આપ્યો છે.
TMC ની સુપ્રીમ કોર્ટમાં દલીલો
સોમવારે (11 મે, 2026) સુપ્રીમ કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન TMC વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કલ્યાણ બેનરજીએ દલીલ કરી હતી. તેમણે કહ્યું કે, બંગાળમાં 31 સીટો એવી છે જ્યાં હાર-જીતનું માર્જિન SIR પ્રક્રિયામાં રદ થયેલા મતો કરતાં ઓછું છે. આ 35 લાખ મતદારોની અપીલ હજુ પણ એપેલેટ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે અને તેમને ચૂંટણીમાં મતદાન કરવા દેવામાં આવ્યું ન હતું. આ અગાઉની સુનાવણીમાં જસ્ટિસ જોયમલ્યા બાગચીએ ટિપ્પણી કરી હતી કે જો આવી પરિસ્થિતિ ઊભી થશે તો કોર્ટ ચોક્કસ દખલ કરશે, જે વાતની કલ્યાણ બેનરજીએ કોર્ટને યાદ અપાવી હતી.
હાર-જીતનું માર્જિન અને રદ થયેલા મતોના ચોંકાવનારા આંકડા
કોર્ટમાં આંકડા રજૂ કરતા બેનરજીએ જણાવ્યું કે, એક વિધાનસભા સીટ પર TMC ના ઉમેદવાર માત્ર 863 મતોથી હારી ગયા હતા. જ્યારે આ જ વિસ્તારમાં 5,432 લોકોના નામ મતદાર યાદીમાંથી રદ કરાયા હતા અને તેમની અપીલો હજુ પણ ટ્રિબ્યુનલમાં પડતર છે. એકંદરે, આખી ચૂંટણીમાં TMC અને ભાજપ વચ્ચે હાર-જીતનું અંતર લગભગ 32 લાખ મતોનું (3.2 મિલિયન) હતું, જ્યારે 35 લાખ (3.5 મિલિયન) જેટલા મતદારો મતદાન કરવાથી વંચિત રહ્યા હતા. આથી, આ મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચે આ દલીલો સાંભળ્યા બાદ કલ્યાણ બેનરજીને તમામ વિગતો સાથે એક વચગાળાની અરજી (Interim Application) દાખલ કરવા જણાવ્યું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, "જો તમે કહી રહ્યા છો કે મતદાર યાદીમાંથી નામ હટાવવાના કારણે ચૂંટણી પરિણામોને અસર થઈ છે, તો તમારે તેના માટે યોગ્ય અરજી દાખલ કરવી પડશે." CJI સૂર્યકાંતે એમ પણ કહ્યું કે અત્યારે અમે એ જોવા માંગીએ છીએ કે ટ્રિબ્યુનલ પોતાનું કામ ઝડપથી પૂરું કરે.
ટ્રિબ્યુનલની ધીમી ગતિ અને ચૂંટણી પંચનો વાંધો
સુનાવણી દરમિયાન TMC ના અન્ય વકીલ મેનકા ગુરુસ્વામીએ ધ્યાન દોર્યું કે ટ્રિબ્યુનલને આ બધી અપીલોનો નિકાલ કરતા 4 વર્ષ લાગી જશે, અને ત્યાં સુધીમાં તો બીજી ઘણી ચૂંટણીઓ યોજાઈ ગઈ હશે. સામે પક્ષે ચૂંટણી પંચના વકીલ દામા શેષાદ્રીએ વાંધો ઉઠાવતા કહ્યું કે, જો કોઈ બેઠકના પરિણામ સામે વાંધો હોય તો હાઈકોર્ટમાં ચૂંટણી અરજી (Election Petition) દાખલ કરવી જોઈએ. આ સાંભળીને કલ્યાણ બેનરજીએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી કે તેઓ એવો આદેશ આપે કે SIR માંથી નામ હટાવવાને ચૂંટણી અરજીનો આધાર ગણી શકાય. જોકે, CJI સૂર્યકાંતે વળતો પ્રશ્ન કરતા કહ્યું કે, "અમે આવો આદેશ કેવી રીતે આપી શકીએ?"
શું મમતા બેનર્જીએ આખરે હાર સ્વીકારી? સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં કર્યો ફેરફાર, જાણો શું લખ્યું?
