લખનઉ:  ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉ (lucknow)માં મોટી દુર્ઘટના બની હતી. ઑક્સિજન સિલિન્ડર રિફિલિંગ (Oxygen Refiling) કરતી વખતે સિલિન્ડર ફાટવાથી ત્રણ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે પહોંચી પોલીસે રાહત અને બચાવ કાર્ય શરુ કરી દીધુ છે.  આ ઘટના ચિનહટના કેટી ઓક્સિજન પ્લાન્ટમાં બની હતી. 

પ્રાપ્ત જાણકારી અનુસાર, ચિનહાટનાં કેટી વેલ્ડીંગ સ્ટોર ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant)માં બપોરના ત્રણ વાગ્યે જમ્બો સિલિન્ડર રિફિલ કરતી વખતે એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં પ્લાન્ટમાં હાજર ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતા જ્યારે પાંચ અન્ય લોકો ઘાયલ થયાં હતા. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનર ડી.કે. ઠાકુર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અભિષેક પ્રકાશ સહિતના અધિકારીઓ પ્લાન્ટ પર પહોંચ્યા હતા અને આ કેસની તપાસના આદેશ આપ્યા છે.

બ્લાસ્ટ એટલો ભીષણ હતો કે પ્લાન્ટની છત ઉડી ગઈ હતી. ડીએમનું કહેવું છે કે, મૃતક અને ઈજાગ્રસ્ત બધા પ્લાન્ટમાં કામ કરતા કર્મચારી છે, જ્યારે પોલીસ પણ બહારના કેટલાક લોકોના મોત અને ઘાયલ થવાની આશંકા વ્યક્ત કરી રહી છે. 

આ પહેલા  ગત અઠવાડિયામાં ઉત્તર પ્રદેશના કાનપુરના પનકી ઓક્સિજન પ્લાન્ટમાં રિફિલિંગ દરમિયાન ઓક્સિજન સિલિન્ડર ફાટવાથી એક શ્રમિકનું મોત નીપજ્યું હતું અને 2 ઘાયલ થયા હતા. 

 

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,82,315 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3780 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,38,439 લોકો ઠીક પણ થયા છે. 

  • કુલ કેસ-  બે કરોડ 6 લાખ 65 હજાર 148
  • કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 69 લાખ 51 હજાર 731
  • કુલ એક્ટિવ કેસ - 34 લાખ 87 હજાર 229
  • કુલ મોત - 2 લાખ 26 હજાર 188

છેલ્લા ચાર દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

કેસ

મોત

4 મે

3,57,299

3449

3 મે

3,68,147

3417

2 મે

3,92,498

3689

1 મે

4,01,993

3523

 

16 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 16 કરોડ 04 લાખ 94 હજાર 188 ડોઝ આપવામાં આવ્યા છે.