નવી દિલ્હીઃ અયોધ્યા મામલામાં દાખલ 18 રિવ્યૂ પિટિશન પર દેશના ચીફ જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતામાં પાંચ જજોની ખંડપીઠ ગુરુવારે સુનાવણી કરશે. આ કેસમાં ચીફ જસ્ટિસ સાથે જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્ના સુનાવણી કરશે. સુનાવણી બપોરે 1 વાગ્યાને 40 મિનિટ પર શરૂ થશે.


પ્રથમ બેન્ચની આગેવાની કરનારા પૂર્વ ચીફ જસ્ટિસ રંજન  ગોગોઇ નિવૃત થઇ ચૂક્યા છે. તેમના સ્થાને જસ્ટિસ સંજીવ ખન્ના રહેશે. સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ મામલે નવ નવેમ્બરના રોજ ચુકાદો આપ્યો હતો. કોર્ટે વિવાદીત જમીન રામલલાને સોંપવાનો નિર્ણય લીધો હતો.

અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટ સમક્ષ 18 રિવ્યૂ પિટિશન દાખલ થઇ છે. તેમાંથી નવ અરજીઓ પક્ષકારો તરફથી અને બાકીની નવ અન્ય અરજીકર્તાઓ તરફથી કરાઇ છે. આ કેસ રિપ્રેઝેન્ટેટિવ સૂટ એટલે કે પ્રતિનિધિઓ મારફતે લડનારો કેસ છે જેથી સિવિલ એટલે કે  દીવાની મામલાની સંહિતા સીપીસી હેઠળ પક્ષકારો સિવાય કોઇ પણ રિવ્યૂ પિટિશન દાખલ કરી શકે છે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં 2.77 એકર વિવાદીત જમીન રામ લલાને આપી હતી. તે સિવાય કોર્ટે કેન્દ્ર સરકારને સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન ફાળવવાના નિર્દેશ આપ્યા હતા.