નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે આજે બજેટ સત્રની શરુઆત થઈ. અભિભાષણની શરુઆત કરતા રાષ્ટ્રપતિએ સૌથી પહેલા કોરોના મહામારી, સરહદ પર તણાવ સહિત અનેક સંકટોનો ઉલ્લેખ કર્યો. તેની સાથે રાષ્ટ્રપતિએ કહ્યું કે, આટલા બધા સંકટો સામે પણ દેશ મજબૂતીથી ઊભો રહ્યો. સાથે કૃષિ કાયદાને લઈને રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ કૃષિ કાયદામાં સુધારા સાથે સૌથી મોટો લાભ પણ 10 કરોડથી વધુ નાના ખેડૂતોને તાત્કાલિક મળવાનો શરુ થઈ ગયો છે.


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, “વ્યાપક વિમર્શ બાદ સંસદે સાત મહિના પૂર્વે ત્રણ મહત્વપૂર્ણ કૃષિ કાયદા વિધેયક પાસ કર્યા. જેનો લાભ 10 કરોડથી વધુ નાના ખેડૂતોને મળવાનો શરુ થઈ ગયો છે. નાના ખેડૂતોને થતા આ લાભને સમજતાની સાથે જ અનેક રાજકીય પક્ષોએ સમયે સમયે આ સુધારાને પોતાનું ભરપૂર સમર્થન આપ્યું હતું.”

રાષ્ટ્રપતિએ કહ્યું કે, મારી સરકાર એ સ્પષ્ટ કરવા માંગે છે કે ત્રણેય નવા કૃષિ કાયદા બનાવતા રહેલા, જૂની વ્યવસ્થાઓ અંતર્ગત જે અધિકાર હતા તથા જે સુવિધાઓ હતી. તેમાં કોઈ કમી કરવામાં આવી નથી,પરંતુ કૃષિ કાયદામાં સુધારાથી સરકારે ખેડૂતોને નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે નવા અધિકાર પણ આપ્યા છે. કૃષિને વધુ ફાયદાકારક બનાવવા માટે મારી સરકારે આધુનિક કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિશેષ ધ્યાન આપી રહી છે. તેના માટે એક લાખ કરોડ રૂપિયા એગ્રિકલ્ચર ફંડની શરુઆત કરવામાં આવી છે.

રામનાથ કોવિંદે દિલ્હીમાં થયેલી હિંસાને લઈને કહ્યું કે, રાષ્ટ્રધ્વજનું અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિવસનું અપમાન ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે. જે સંવિધાન આપણને અભિવ્યકિતની આઝાદીનો અધિકાર આપે છે. તે સંવિધાન આપણને શીખવાડે છે કે, કાયદા અને નિયમનું પણ એટલીજ ગંભીરતાથી પાલન કરવું જોઈએ.

વર્તમાનમાં આ કાયદાના અમલીકરણ દેશની સર્વોચ્ચ અદાલતમાં સ્થગિત કરવામાં આવ્યો છે. મારી સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરતા તેનું પાલન કરશે.