મધ્ય પ્રદેશના સીધીમાં એક ભયંકર બસ દુર્ઘટના ઘટી. અહીં મુસાફરોથી ભરેલી બસ નહેરમાં ખાબકી છે. રીવા-સીધી બોર્ડર નજીક ચૂહિયાઘાટી નજીક આ અકસ્માત સર્જાયો. 18ના મૃતદેહ મળી આવ્યાં છે. રેસ્ક્યૂ ઓપરેશન ચાલું છે.




અકસ્માત મધ્યપ્રદેશના  સીધીના બાણસાગર પ્રોજેક્ટની કેનાલ પર સર્જાયો. નહેરમાં બસ ખાબકતા ચિચીયારી મચી ગઇ હતી. અત્યાર સુધીમાં 18 મૃતદેહ બહાર કઢાયા છે.

ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને રાહત અને બચાવનું કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કર્યું છે. બસમાં 50 લોકો સવાર હતા.



બસ સવારે 8 વાગ્યે નહેરમાં ખાબકી હતી. દુર્ઘટનાના પગલે આસપાસના સ્થાનિક લોકો પણ મદદ દોડી આવ્યાં હતા.

દુર્ઘટના બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જિલ્લા ક્લેકટર સાથે વાત કરી હતી અને રેસ્ક્યુ ઓપરેશન ઝડપથી કરવાના આદેશ આપ્યાં હતા. ઉપરાંત સીએમએ  બાણસાગર ડેમથી નહેરમાં પાણી રોકવા માટેના આદેશ આપ્યા છે.



નહેરમાં યાત્રીની શોધ કરવા માટે તરવૈયાની પણ મદદ લેવાઇ રહી છે. બાણસાગર નહેરના જળસ્તરને ઓછુ કરવા માટે સિંહાવલ નહેરને ચાલું કરી દેવાઇ છે. ટીમે બસને શોધી લીધી છે અને બસમાંથી 18 મૃતદેહ બહાર કાઢાયા છે. અન્ય લોકો નહેરમાં હોવાની આશંકાએ નહેરમાં તરવૈયાને ઉતારવામાં આવ્યાં છે.