જૈન શ્રધ્ધાળુઓની બસને 11 હજાર વોલ્ટની લાઈનનો વાયર અડકતાં છ ભડથું, અકસ્માત કઈ રીતે થયો એ જાણીને લાગી જશે આઘાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Jan 2021 09:41 AM (IST)
મૃતકો અને ઘાયલ તમામ જૈન સમાજના શ્રદ્ધાળુ છે. માડોલીના જૈન મંદિરે દર્શન કરીને પરત આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી
જયપુરઃ રાજસ્થાનના ઝાલોરમાં શનિવારે મોડી રાત્રે એક બસ પર 11 હજાર વોલ્ટની હાઈ ટેન્શન લાઈનનો વાયર અડકતાં છ લોકો ભડથું થઈ ગયાં હતાં. આ વાયરના કારણે બસમાં આગ લાગી જતાં 36 અન્ય લોકો દાઝી ગયા હતા. આ તમામ લોકોની સારવાર ચાલી રહી છે. મૃતકો અને ઘાયલ તમામ જૈન સમાજના શ્રદ્ધાળુ છે. માડોલીના જૈન મંદિરે દર્શન કરીને પરત આવી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. મૃતકોમાં બ્યાવરના સોનલ (44), સુરભી(25), ચાંદ દેવી(65), અજમેરના રાજેન્દ્ર અને ડ્રાઈવર ધર્મચંદ જૈનનો સમાવેશ થાય છે. ઘાયલોમાં જયપુરના પ્રિયંકા, અજમેરના નિશા જૈન, બ્યાવરના શંકુતલા, અનૌસી (10), ભીલવાડાના શિલ્પા બાફના (36), બ્યાવરની સુનીતા (45), જયપુરના સીમા જૈન, રિતિકા (16) અને શિલ્પા હોવાની માહિતી મળી છે. આ દુર્ઘટના ઝાલોથી 7 કિમી દૂર મહેશપુરા ગામમાં શનિવારે રાતે 10.45 વાગ્યે બની હતી. બસમાં સવાર તમામ શ્રદ્ધાળુ અજમેર અને બ્યાવરના છે. આ શ્રધ્ધાળુ બે બસોમાં શુક્રવારે રાત્રે બ્યાવરથી ઝાલોરના માંડોલીમાં જૈન મંદિરના દર્શન કરવા હયા હતા. દર્શન પછી તેઓ બ્યાવર પરત આવતી વખતે રસ્તો ભૂલીને મહેશપુરા ગામે પહોંચી ગયા હતા. મહેશપુરાની સાંકડી ગલીઓમાંથી પસાર થતી વખતે 11 કેવી લાઈનની ઝપટમાં બસ આવી ગઈ અને કરંટ ફેલાઈ જતાં બસમાં આગ લાગી ગઈ. ગૂગલ મેપથી બ્યાવરનો માર્ગ જોઈને બસ આગળ વધી રહી હતી. ભૂલથી બસ મહેશપુરા ગામમાં પહોંચી ગઈ હતી અને બસ ગામની સાંકડી ગલીમાં પહોંચી ગઈ હતી. આ ગલીમાં 11 કેવીની લાઈન ખૂબ નીચે હતી. બસનો કન્ડક્ટર તાર જોવા ઉપર ચઢ્યો હતો. કન્ડક્ટર 11 કેવીની લાઈન હટાવતો હતો ત્યારે કરંટ આખી બસમાં ફેલાઈ જતાં આગ લાગી હતી.