Mahakumbh 2025: આજે મહાકુંભનો છેલ્લો દિવસ છે. મહાકુંભમાં અત્યાર સુધીમાં 65 કરોડથી વધુ લોકોએ સ્નાન કર્યું છે. આ વર્ષે કુંભમાં અનેક જાણીતી હસ્તીઓએ ગંગામાં સ્નાન કર્યું હતું. જેમાં જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો પણ સમાવેશ થાય છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મહાકુંભના સમાપન પ્રસંગે પોતાના સંસ્મરણો વાગોળ્યા છે. મહાકુંભમાં આદરેલી સેવાને તેમણે 'આપનું જ આપને અર્પણ'ની ભાવનાથી કરવામાં આવેલ કાર્ય ગણાવ્યું હતું. સમગ્ર દેશને મહાશિવરાત્રી પર્વની શુભકામનાઓ પાઠવતા તેમણે સમર્પણની ભાવના વ્યક્ત કરી છે. મહાકુંભના અવસરે અદાણી ગ્રુપે ઈસ્કોન સાથે હાથ મિલાવીને દરરોજ 1 લાખ ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ગૌતમ અદાણીએ કહ્યું કે, “હું માનું છું કે લોકોની સેવા એ ભગવાનને સાકાર કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. મહાકુંભ 'તેરા તુજકો અર્પણ' ની ભાવનાને સાકાર કરવાની તક આપે છે. ત્યાં આપણે માતૃભૂમિ પાસેથી મળેલી દરેક વસ્તુ તેને સમર્પિત કરી શકીએ છીએ. લાખો ભક્તોની સેવા કરીને અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ. વાસ્તવમાં સેવા કરનાર જ સેવા મેળવે છે, જે આપણને ભગવાન સુધી પહોંચવાની તક આપે છે. અમે એવા ભાઈઓ, બહેનો અને સંતોને સાધુવાદ આપીએ છીએ જેમની સેવા કરવાનો અમને લહાવો મળ્યો છે."
તમને જણાવી દઈએ કે, આ વખતે અદાણી ગ્રુપે પોતાના કર્મચારીઓ માટે મહાકુંભને લઈને ખાસ પહેલ કરી હતી. ગૌતમ અદાણી એ વિશે ખુલાસો કરતા કહ્યું કે, અદાણી પરિવારના 5000 થી વધુ સભ્યોને ભક્તો અને કલ્પવાસીઓની સેવા કરવાનો લહાવો મળ્યો છે. છે. મહાકુંભ જેવી મેગા ઈવેન્ટમાં સેવા દ્વારા તેમણે મેનેજમેન્ટ, નેતૃત્વ, કટોકટીનું સંચાલન અને ટીમવર્ક જેવા વ્યવહારુ પાઠ શીખ્યા છે, જે તેઓને માત્ર એક સારા મેનેજર જ નહીં પણ વધુ સારી વ્યક્તિ પણ બનાવશે.
ગૌતમ અદાણીએ 21 જાન્યુઆરી 2025 ના રોજ તેમના પરિવાર સાથે પ્રયાગરાજની યાત્રા કરી અને મહાકુંભમાં પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન તેમણે ઈસ્કોનમાં મહાપ્રસાદ અને ગીતા પ્રેસના પંડાલમાં આરતી સંગ્રહનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે એક વૃદ્ધ મહિલા સાથેની તેમની મુલાકાતને યાદો તાજી કરી હતી.
ગૌતમ અદાણીએ આ અંગે જણાવ્યું કે, “મને હજુ પણ તે ભાવનાત્મક ક્ષણ યાદ છે જ્યારે હું પ્રયાગરાજમાં હનુમાન મંદિર પાસે ગીતા પ્રેસના કેમ્પમાં આરતી સંગ્રહનું વિતરણ કરી રહ્યો હતો. ત્યારે લગભગ 80 વર્ષની એક વૃદ્ધ માતા ભીડમાંથી મારી પાસે આવી અને મારા માથા પર હાથ મૂકીને મને આશીર્વાદ આપ્યા. તે ક્ષણે મેં અનુભવેલી લાગણી શબ્દોથી અવર્ણનીય હતી. તે એક ઊંડો આધ્યાત્મિક સ્પર્શ હતો, જેને હું જીવનભર યાદ રાખીશ. મારા માટે, સેવા માત્ર એક ક્રિયા નથી, પરંતુ મારા હૃદયમાં ગુંજતી પ્રાર્થના છે - એક પ્રાર્થના જે મને હંમેશા નમ્રતા અને સમર્પણમાં સ્થિર રાખે છે.
ઉલ્લેખનીય છે કે આ મહાકુંભમાં અદાણી ગ્રુપે ઈસ્કોન સાથે મળીને કુંભમાં આવતા લોકોની સેવા કરી હતી. જેમાં દરરોજ 1 લાખ લોકોને ભોજન પૂરું પાડવામાં આવતું હતું અને ગીતાપ્રેસ ગોરખપુરના સહયોગથી 1 કરોડ આરતી સંગ્રહનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અદાણી ગ્રુપ દ્વારા વૃદ્ધ મહિલાઓ અને બાળકો માટે ફ્રી ગોલ્ફ કાર્ટ સર્વિસ પણ ચલાવવામાં આવી હતી.
આ પણ વાંચો....