દેશમાં દાદરા અને નગર હવેલી સહિત  13 રાજ્યોની 29 વિધાનસભા બેઠકો અને 3  લોકસભાની  બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે શનિવારે મતદાન થશે. મતદાન પ્રક્રિયા દરમિયાન પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થાની સાથે કોવિડના નિવારણ માટેના પગલાં પણ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. મોટાભાગની સીટો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો થશે.


3 લોકસભા અને 29 વિધાનસભા સીટો પર પેટાચૂંટણી


દાદરા અને નગર હવેલી, હિમાચલ પ્રદેશમાં મંડી અને મધ્ય પ્રદેશના ખંડવામાં લોકસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે. આ જ સમયે, 29 વિધાનસભા બેઠકો જ્યાં પેટાચૂંટણી યોજાશે, તેમાંથી પાંચ આસામમાં, ચાર પશ્ચિમ બંગાળમાં, ત્રણ-ત્રણ મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મેઘાલયમાં, બિહાર, રાજસ્થાન અને કર્ણાટકમાં બે-બે જ્યારે આંધ્રપ્રદેશમાં છે.   હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ અને તેલંગાણામાં એક-એક સીટનો સમાવેશ થાય છે. 2 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.



નાગાલેન્ડની શમાતોર-ચેસોર વિધાનસભા બેઠક માટે પણ પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, પ્રાદેશિક પક્ષ નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) ના ઉમેદવારને 13 ઓક્ટોબરે બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સભ્યોના અવસાનના કારણે લોકસભાની ત્રણ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. તે જ સમયે, કેટલીક વિધાનસભા બેઠકોમાં ધારાસભ્યના અવસાનથી બેઠક ખાલી પડી હતી, જ્યારે ઘણી બેઠકો પર વિજેતા ઉમેદવારના રાજીનામાને કારણે બેઠક ખાલી પડી હતી. હાલ જ્યાં જ્યાં મતદાન છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત છે. અસામાજિક તત્વો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.


દાદરા નગર હવેલી લોકસભાની પેટાચૂંટણીનું શનિવારે મતદાન થશે. પૂર્વ સાંસદ મોહન ડેલકરના મૃત્યુ બાદ આ બેઠક ખાલી પડી છે. મોહન ડેલકર લાંબા સમયથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવતા હતા. આ બેઠક પરની પેટા ચૂટણીમાં 333 મતદાન મથકો પર 2.58 લાખ જેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને શિવસેનાના ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ છે. ખાસ તો ભાજપ અને શિવસેના વચ્ચે લોકસભા બેઠક માટે ખરાખરીનો જંગ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ બેઠક પર મોહન ડેલકરનાં પત્ની શિવસેનામાંથી ઉમેદવાર તરીકે મેદાનમાં છે.


મોહન ડેલકરનાં નિધનથી ખાલી પડેલી દાદરા નગર હવેલી લોકસભા બેઠક માટે ભાજપે મહેશ ગાવીતને લોકસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે. ડેલકરના વર્ચસવાળી આ બેઠક કબજે કરવા ભાજપે પ્રચાર માટે કેન્દ્ર અને પ્રદેશ નેતાઓની ટીમ મેદાનમાં ઉતારી હતી. જેમાં મહારાષ્ટ્રના પૂર્વ CM દેવેન્દ્ર ફડણવિસ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે સભા કરી હતી. તો કેન્દ્ર સરકારમાં મંત્રી પુરષોત્તમ રૂપાલા, સ્મૃતિ ઈરાની, ઉપરાંત મનોજ તિવારીએ પણ સભા સંબોધી હતી. ભાજપ માટે પણ આ બેઠક પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.