નવી દિલ્હીઃ મંદીનો માહોલ છે ત્યારે મોંઘવારીનો માર સહન કરી રહેલ લોકોને કેન્દ્ર સરકાર મોટી રાહત આપવા જઈ રહી છે. ડુંગળીની વધતી કિંમતને નિયંત્રણમાં લેવા માટે સરકારે ડુંગળની આયાત કરવાનો નિર્ણય કર્યો છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે ગઈકાલે 1.2 લાખ ટન ડુંગળીની આયાત કરવાના સરકારના નિર્ણયને મંજૂરી આપી છે. હાલમાં ડુંગળી 70-10 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે.


ઉલ્લેખનીય છે કે ૧૬ નવેમ્બરના રોજ ફૂડ એન્ડ કન્ઝ્યુમર બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને જાહેરાત કરી હતી કે તે એમએમટીસી દ્વારા એક લાખ ટન ડુંગળીની આયાત કરશે. વિવિધ પગલાઓ લીધા પછી પણ ડુંગળીના ભાવ અંકુશમાં ન આવતા સરકારે અંતે ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં દેશમાં એક કીલો ડુંગળીનો ભાવ 7૦-100 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે.

૧૫ નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં ડુંગળીનો સરેરાશ રીટેલ ભાવ ૬૦.૩૮ રૂપિયા હતો. જે ગયા વર્ષે સમાન ગાળામાં ૨૨.૮૪ રૂપિયા હતો. ૨૦૧૯-૨૦ની ખરીફ સિઝનમાં ડુંગળીનું ઉત્પાદન ૨૬ ટકા ઘટીને ૫૨.૦૬ લાખ ટન રહ્યું હતું. સરકારે આયાત સુનિશ્ચિત કરવા ઉપરાંત નિકાસને પ્રતિબંધિત કરવા, ભંડારની સીમા નક્કી કરવા સહિત ઘણા પગલાં ભર્યા છે.