લૂકઆઉટ નોટિસમાં ફેરફારનું કારણ જણાવતા સીબીઆઇએ જણાવ્યું હતું કે તે સમયે વિજય માલ્યા તપાસમાં સહયોગ આપી રહ્યો હતો અને તેના વિરુદ્ધ કોઇ વોરંટ પણ નહોતું. ત્રણ વર્ષ બાદ આ વિવાદ ફરી સામે આવતા સીબીઆઇના સૂત્રોએ જણાવ્યું કે, 12 ઓક્ટોબર 2015માં જ્યારે પ્રથમવાર લૂકઆઉટ સર્કુલર જાહેર કરાયો હતો ત્યારે માલ્યા વિદેશમાં હતો.
માલ્યા પાછો ફર્યો ત્યારે બ્યૂરો ઓફ ઇમીગ્રેશને સીબીઆઇને પૂછ્યું એલઓસીમાં કહેવામાં આવ્યું છે તેમ શું માલ્યાની અટકાયત કરવાની છે કે નહીં? જેના પર સીબીઆઇએ કહ્યું હતું કે તેની ધરપકડ કરવાના કે અટકાયત કરવાની કોઇ જરૂર નથી કારણ કે તે હાલમાં એક સાંસદ છે અને તેના વિરુદ્ધ કોઇ વોરંટ પણ નથી. સીબીઆઇએ તે સમયે કહ્યું હતું કે, તેને ફક્ત માલ્યાના આવવા જવાની સૂચના જોઇએ છે.
સીબીઆઇના સૂત્રોના મતે માલ્યા વિરુદ્ધ તપાસ પ્રાથમિક તબક્કામાં હતી તે સમયે 9000 કરોડ રૂપિયાના લોન ડિફોલ્ટર મામલે આઇડીબીઆઇથી દસ્તાવેજ પ્રાપ્ત કરી રહી હતી. નવેમ્બર 2015ના અંતિમ સપ્તાહમાં માલ્યા વિરુદ્ધ એક નવું એલઓસી જાહેર કરવામાં આવ્યું જેમાં દેશભરના તમામ એરપોર્ટ્ને માલ્યાના આવવા જવાની સૂચના આપવાનું કહેવામાં આવ્યુ. આ સર્કુલર જાહેર થતા અગાઉ જાહેર કરવામાં આવેલુ માલ્યાની અટકાયત કરવાનું સર્કુલર રદ થઇ ગયું હતું. બ્યૂરો ઓફ ઇમિગ્રેશન ત્યાં સુધી કોઇની અટકાયત કરી શકતું નથી જ્યાં સુધી સર્કુલરમાં એવું કહેવામાં આવ્યું ના હોય.
સૂત્રોએ કહ્યું કે, માલ્યાએ ઓક્ટોબરમાં વિદેશની યાત્રા કરી અને નવેમ્બરમાં પાછો ફર્યો પછી તે ડિસેમ્બર અગાઉ અને અંતિમ સપ્તાહમાં બે વિદેશ યાત્રા કરી અને ત્યારબાદ જાન્યુઆરી 2016માં એક પ્રવાસ કર્યો. આ વચ્ચે તે ત્રણ વખત પૂછપરછ માટે હાજર થયો હતો કારણ કે લૂકઆઉટ સર્કુલર જાહેર કરવામાં આવ્યા હતા.
સીબીઆઇએ કહ્યું નોટિસમાં ફેરફાર કરવામાં આવ્યો કારણ કે તે સહયોગ કરી રહ્યો હતો. જેથી વિદેશ જતો રોકવા પાછળ કોઇ કારણ નહોતું. નોંધનીય છે કે 2 માર્ચ 2016માં વિજય માલ્યા દેશ છોડીને ભાગી ગયો હતો. હાલમાં માલ્યા બ્રિટનમાં રહે છે અને ભારત સરકાર સામે પ્રત્યાર્પણનો કેસ લડી રહ્યો છે.