ધોરણ 10 અને ધોરણ 12ના અનેક વિદ્યાર્થીઓ પરિણાને લઈને કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની મૂલ્યાંક ફોર્મ્યુલાથી સંતુષ્ટ નથી. CBSE આવા વિદ્યાર્થીઓની ઓગસ્ટ મહિનામાં લેખિત પરીક્ષા આપવાનો વિકલ્પ આપશે. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે શુક્રવારે આ વાતની જાણકારી આપી છે. નિશંક કોરોના બાદની તકલીફોને કારણે એઈમ્સમાં ભરતી છે.


તેમણે હોસ્પિટલમાંથી જ ટ્વીટર પર આ જાણકારી શેર કરી છે. શિક્ષણ મંત્રી નિશંક ગઈકાલે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ વિશે વિદ્યાર્થીઓના સવાલોના સોશિયલ મીડિયા પર જવાબ આપવાના હતા. પરંતુ કોઈ કારણોસર તે ન થઈ શક્યું અને તેમણે એક ઓડિયો મેસેજ પોસ્ટ કર્યો અને તેમાં જ તેમણે ઓગસ્ટમાં લેખિત પરીક્ષાનો વિકલ્પ આપવાની વાત કહી.


પોતાના મેસેજમાં તેમણએ કહ્યું, “ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થીઓ CBSEની મૂલ્યાંકન ફોર્મ્યુલાથી સંતુષ્ટ નથી તેમને પરેશાન થવાની જરૂરત નથી. તમારા માટે ઓગસ્ટમાં લેખિત પરીક્ષા આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.” સાથે જ તેમણે કહ્યું, “સાથે જ જેમ કે CBSE પહેલા પણ સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે  જે વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષાનો વિકલ્પ પસંદ કરશે તેમને તેમાં મળેલા માર્ક્સને જ માનવા પડશે. લેખિત પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ મૂલ્યાંકન ફોર્મ્ચ્યુલા અંતર્ગત આપવામાં આવેલ માર્ક્સ ફરીથી આપવાની માગ નહીં કરી શકે.”


કેવી રીતે પરિણામ નક્કી થશે


12માં ધોરણના વિદ્યાર્થીઓના પરિણામ માટે 30:30:40 ફોર્મ્યુલાને આધાર બનાવવામાં આવશે અને પરિણામ તૈયાર કરવામાં આવશે.


શું છે આ 30:30:40 ફોર્મ્યુલા?


બોર્ડે જણાવ્યું કે 30:30:40 ફોર્મ્યુલા હેઠળ ધોરણ 10ના બોર્ડના પરિણામના આધારે 30 ટકા માર્ક્સ, 11માં ધોરણના આધારે 30 ટકા માર્ક્સ અને 12માં ધોરણની પ્રી બોર્ડના આધારે 40 ટકા માર્ક્સ અપાશે.


ધોરણ-12: યુનિટ ટેસ્ટ, મીડ ટર્મ અને પ્રી બોર્ડ એક્ઝામના પરફોર્મન્સના આધારે માર્ક્સ મળશે. જેનું વેટેજ 40 ટકા રહેશે.


ધોરણ-11: ફાઈનલ પરીક્ષામાં તમામ વિષયોના થિયરી પેપરના પરફોર્મન્સના આધારે માર્ક્સ મળશે. જેનું વેટેજ 30 ટકા રહેશે.


ધોરણ-10: મુખ્ય 5 વિષયોમાંથી ત્રણ વિષયોના થિયરી પેપરના પરફોર્મન્સના આધારે માર્ક્સ મળશે. આ ત્રણ વિષય એવા હશે જેમાં વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ સૌથી સારું હશે. તેનો ગુણભાર પણ 30 ટકા રહેશે.


ક્લાસ 12માં જે પણ પ્રેક્ટિકલ પરીક્ષાઓ અને ઈન્ટરનલ અસેસમેન્ટ તમે આપ્યા હશે તેમાં તમને મળેલા માર્ક્સ જ શાળા સીબીએસઈના પોર્ટલ પર અપલોડ કરશે. શાળા ગત વર્ષોમાં બોર્ડ એક્ઝામ્સમાં પોતાના પરફોર્મન્સના આધાર પર જ માર્ક્સ આપી શકે છે. એટલે કે રેફરન્સ યરનો નિયમ લાગૂ થશે.