cea fixed charge proposal: પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાથી પરેશાન સામાન્ય જનતા માટે હવે એક વધુ માઠા સમાચાર છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) દ્વારા વીજળીના બિલમાં લેવાતા 'ફિક્સ ચાર્જ'માં મોટો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવ લાગુ થઈ જશે, તો તમે વીજળી વાપરો કે ન વાપરો, ઘર બંધ હોય તો પણ તમારે દર મહિને એક મોટું વીજળી બિલ ચૂકવવું જ પડશે. ખાસ કરીને સોલાર પેનલના વધતા ઉપયોગના કારણે વીજ કંપનીઓને થઈ રહેલા નુકસાનને સરભર કરવા માટે આ નવો પ્લાન બનાવવામાં આવ્યો છે.

Continues below advertisement

શું છે આખો મામલો?

હાલમાં આપણું લાઈટ બિલ બે ભાગમાં વહેંચાઈને આવે છે: પહેલો ભાગ એટલે આપણે જેટલા યુનિટ વીજળી વાપરી હોય તેનો ચાર્જ, અને બીજો ભાગ એટલે ફિક્સ ચાર્જ. ફિક્સ ચાર્જ એવી રકમ છે જે દર મહિને પહેલેથી જ નક્કી હોય છે, પછી ભલે તમે વીજળી સાવ ઓછી વાપરો કે વધારે વાપરો.

Continues below advertisement

હવે, CEA ઈચ્છે છે કે વીજ કંપનીઓને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આ ફિક્સ ચાર્જની રકમ વધારી દેવામાં આવે. રિપોર્ટ્સ મુજબ, વીજ કંપનીઓ પાવર નેટવર્ક, ટ્રાન્સમિશન લાઈન, કર્મચારીઓના પગાર અને મેન્ટેનન્સ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પણ ફિક્સ ચાર્જમાંથી થતી તેમની આવક આ ખર્ચ સામે ખૂબ જ ઓછી છે.

ઘર બંધ હશે તો પણ ભરવું પડશે બિલ

આ નવા પ્રસ્તાવની સૌથી મોટી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. જો આ નિયમ લાગુ થશે, તો જે લોકો ઓછી વીજળી વાપરે છે તેમણે પણ દર મહિને મોટો ફિક્સ ચાર્જ તો ભરવો જ પડશે.

ધારો કે, તમે કોઈ કામથી કે વેકેશન માટે એક મહિના માટે બહાર ગયા છો અને તમારું ઘર બંધ છે. અત્યાર સુધી એવું હતું કે વીજળી ન વાપરવાને કારણે તમારું બિલ સાવ ઓછું આવતું. પરંતુ નવી સિસ્ટમ મુજબ, ઘર બંધ હશે તો પણ તમારે ફિક્સ ચાર્જ તો ચૂકવવો જ પડશે. એટલે જ લોકો આને "વીજળી ન વાપરો, તો પણ બિલ ભરો" (No-use, still billing) સિસ્ટમ કહી રહ્યા છે.

આ પણ વાંચોઃ શું દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે? પીએમ મોદીની અપીલે આપ્યા સંકેત, કહ્યું - કિંમત આસમાને....

વીજ કંપનીઓને આવું કરવાની કેમ જરૂર પડી?

હાલમાં દેશમાં રૂફટોપ સોલારનો ઉપયોગ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. લાખો લોકો પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવીને જાતે જ વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે, જેના કારણે તેઓ વીજ કંપનીઓ પાસેથી ઓછી વીજળી ખરીદે છે.

CEA નું કહેવું છે કે, ભલે લોકો સોલાર વાપરતા હોય, પણ આ જ ગ્રાહકો જરૂર પડે ત્યારે સરકારી ગ્રીડનો ઉપયોગ તો કરે જ છે. એટલે કંપનીઓએ ગ્રાહકો માટે આખું નેટવર્ક અને સિસ્ટમ તો જાળવી જ રાખવા પડે છે. પરિણામે, સોલારના કારણે કંપનીઓની આવક સતત ઘટી રહી છે પણ તેમના મેન્ટેનન્સ અને નેટવર્કના ખર્ચ એમના એમ જ ઊભા છે.

કોને કેટલી અસર થશે?

આ પ્રસ્તાવ મુજબ વિવિધ ગ્રાહકો પર નીચે મુજબની અસર થઈ શકે છે:

ઘરેલુ અને ખેતી કરતા ગ્રાહકો: આ ગ્રાહકો માટે ફિક્સ ચાર્જ કુલ ખર્ચના 25% સુધી વધારી શકાય છે.

કોમર્શિયલ ગ્રાહકો: ફેક્ટરીઓ, મોલ અને મોટા કોમર્શિયલ ગ્રાહકો માટે વર્ષ 2030 સુધીમાં આ ચાર્જ 100% સુધી વધારવાનો પ્રસ્તાવ છે.

આનો સીધો અર્થ એ છે કે ભવિષ્યમાં વીજળીના બિલનો મોટો હિસ્સો ફક્ત "ફિક્સ ચાર્જ" જ હશે, જ્યારે યુનિટ વાપરવાના ખર્ચનો હિસ્સો ઘટી જશે.

મધ્યમ વર્ગ માટે વધશે ટેન્શન

આ પ્રસ્તાવ મધ્યમ વર્ગ માટે મોટું ટેન્શન વધારી શકે છે, જેઓ પહેલાથી જ મોંઘવારી, EMI અને રોજબરોજના ખર્ચાઓથી પરેશાન છે. આ નિયમ ખાસ કરીને એવા પરિવારોને વધારે નુકસાન કરશે જેઓ કરકસર કરીને અને પંખા-બલ્બ બંધ રાખીને પોતાનું લાઈટ બિલ ઓછું રાખવાનો પ્રયાસ કરે છે.

જોકે, રાહતની વાત એ છે કે આ હાલમાં માત્ર એક પ્રસ્તાવ છે અને તેનો અંતિમ નિર્ણય નિયમનકારી સંસ્થાઓ દ્વારા જ લેવામાં આવશે. પણ જો આ નિયમ લાગુ થયો, તો ભવિષ્યમાં લોકોનું ઘરનું બજેટ ખોરવાઈ જવું નક્કી છે.