Chandrayaan-3 mission:  આવનારા 14 દિવસ ચંદ્રયાન-3 માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 23 ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગ પછી હવે નજર પ્રજ્ઞાન રોવર પર છે, જે સ્થિતિ સામાન્ય થયા પછી ચંદ્રની સપાટી પર દોડશે. વિક્રમ લેન્ડરની અંદર રોવર પ્રજ્ઞાનની બહાર નીકળવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.


14 દિવસ પછી શું થશે?


રોવર અને લેન્ડરથી ઈસરોને જે માહિતી મળશે તે માત્ર 14 દિવસની હશે, કારણ કે આ સમયગાળામાં જ ચંદ્રને સંપૂર્ણ પ્રકાશ મળશે. આ દિવસોમાં લેન્ડર અને રોવર એક્ટિવ રહીને ISROને માહિતી મોકલશે. વાસ્તવમાં 14 દિવસ પછી ચંદ્ર પર રાત પડશે. આ રાત એક દિવસ માટે નહીં પરંતુ આખા 14 દિવસની હશે. રાત્રે અહીં ખૂબ જ ઠંડી રહેશે. કારણ કે, વિક્રમ અને પ્રજ્ઞાન માત્ર સૂર્યપ્રકાશમાં જ કામ કરી શકે છે તેથી તેઓ 14 દિવસ પછી નિષ્ક્રિય થઈ જશે. ઈસરોના વૈજ્ઞાનિકોએ જો કે, સૂર્ય ઉગે ત્યારે વિક્રમ અને પ્રજ્ઞાન ફરીથી ચંદ્ર પર કામ કરે તેવી શક્યતાને નકારી નથી. જો બંને 14 દિવસ પછી યોગ્ય રીતે કામ કરે છે તો તે ભારતના ચંદ્ર મિશન માટે બોનસ હશે.


શું ચંદ્રયાન-3 પૃથ્વી પર પાછું આવશે?


એવું નથી કે ચંદ્રયાન-3 પૃથ્વી પર પાછું ફરશે. વિક્રમ અને પ્રજ્ઞાન ભલે કામ ન કરે પરંતુ તેઓ ચંદ્ર પર રહેશે.


ચંદ્રયાન-3નું કુલ વજન?


ભારતના ચંદ્રયાન-3નું કુલ વજન 3,900 કિલોગ્રામ છે. પ્રોપલ્શન મોડ્યુલનું વજન 2,148 કિગ્રા છે અને લેન્ડર મોડ્યુલનું વજન 1,752 કિગ્રા છે, જેમાં 26 કિગ્રા રોવરનો સમાવેશ થાય છે.


ચંદ્રયાન 3 ક્યાં ઉતર્યું?


ISRO પહેલા જ ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઇટની તસવીર શેર કરી ચૂક્યું છે. બુધવારે સાંજે 6.04 કલાકે થયેલા ચોક્કસ સોફ્ટ લેન્ડિંગ પછી વિક્રમના કેમેરા દ્વારા આ તસવીર લેવામાં આવી હતી. ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પ્રમાણમાં સપાટ વિસ્તારમાં લેન્ડ થયું હતું.


રોવર પ્રજ્ઞાન હવે શું કરશે?


પ્રજ્ઞાન ચંદ્રની સપાટીની રાસાયણિક રચના, માટી અને ખડકોની તપાસ કરશે. તે ધ્રુવીય પ્રદેશની નજીક ચંદ્રની સપાટીના આયનો અને ઇલેક્ટ્રોનની ઘનતા અને થર્મલ ગુણધર્મોને માપશે. સૌથી મહત્વની વાત એ છે કે આ વિસ્તારની પહેલા ક્યારેય કોઈએ મુલાકાત લીધી નથી. આ પહેલીવાર છે જ્યારે કોઈ દેશે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જવાની હિંમત કરી હોય.


ચંદ્રની સપાટી પરથી 14 દિવસ સુધી માહિતી એકત્રિત કરશે


વૈજ્ઞાનિકોના મતે, સોફ્ટ લેન્ડિંગ પછી રોવર અને લેન્ડરથી ઈસરોને જે માહિતી મળશે તે માત્ર 14 દિવસ માટે જ હશે, કારણ કે આ સમયગાળા દરમિયાન જ ચંદ્રને સંપૂર્ણ પ્રકાશ મળશે. તેમનું કહેવું છે કે રોવર પાસેથી મળેલી માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે ચંદ્રની સપાટી પર આગળ વધતું રહે છે.


વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 14 દિવસની અંદર રોવર ન માત્ર ચંદ્ર પર પોતાનો નિર્ધારિત રસ્તો પૂરો કરશે પરંતુ તેની સંપૂર્ણ માહિતી ઈસરોના ડેટા સેન્ટરને મોકલતું રહેશે. માહિતી માત્ર રોવર દ્વારા જ નહીં પરંતુ લેન્ડર દ્વારા પણ મળતી રહેશે. જો કે, અવકાશ વૈજ્ઞાનિકોનું માનવું છે કે 14 દિવસમાં પ્રાપ્ત માહિતી એ અવકાશમાં ચંદ્ર પર કરવામાં આવનારી તમામ શક્યતાઓ વિશેની સૌથી મહત્વપૂર્ણ માહિતી હશે.