પટણાઃ બિહારમાં એનડીએતી અલગ થનારા એલજેપીના ચિરાગ પાસવાને ભાજપને મોટો ફટકો માર્યો છે. ચિરાગ પાસવાને બિહાર ભાજપના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહને એલજેપીમાં ખેંચી લીધા છે. ચિરાગના આ ફટકાથી ભાજપ સ્તબ્ધ થઈ ગયો છે. રાજેન્દ્રસિંહ 2015ની વિધાનસભા ચૂંચણી વખતે ભાજપના મુખ્યમંત્રીપદના દાવેદાર પણ મનાતા હતા.


ચિરાગ પાસવાને પોતાને નીતિશ કુમારનું નેતૃત્વ માન્ય નહીં હોવાના કારણે અલગ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી પણ ભાજપ સાથેનું જોડાણ માન્ય હોવાનો તેનો દાવો છે. ચિરાગ પાસવાન પોતે ભાજપ સાથે હોવાનો દાવો કરે છે પણ તેણે સૌથી પહેલા નેતા ભાજપના તોડતાં ભાજપમાં ખળભળાટ મચ્યો છે.

રાજેન્દ્રસિંહ રાષ્ટ્રીય સ્વયંસવેક સંઘના સ્વયંસેવક હતા. ભાજપના નેતાઓના આગ્રહથી સંઘમાં લાંબો સમય કામ કર્યા પછી ભાજપમાં આવેલા સિંહે બિહારમાં ભાજપ સંગઠનને મજબૂત બનાવવામાં મોટું યોગદાન આપ્યું છે. 2015ની ચૂંટણીમાં સિંહ દિનારા બેઠક પરથી લડ્યા હતા. વરસો સુધી સંઘના પ્રચારક રહ્યા હોવાના કારણે સિંહને ભાજપમાંથી મુખ્યમંત્રીપદના પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા.

રાજેન્દ્રસિંહ છેલ્લી ચૂંટણીમાં જેડીયુના ઉમેદવાર અને નીતિશ સરકારના પ્રધાન જય કુમાર સિંહ સામે 2000 મતે હાર્યા હતા. ભાજપે આ બેઠક જેડીયુને આપી દેતાં નારાજ સિંહ પાસવાન સાથે જોડાઈ ગયા છે.