દેહરાદૂનઃ ઉત્તરાખંડમાં કોરોના સંક્રમણના વધી રહેલા મામલાને જોતાં સરકારે શનિવાર અને રવિવાર લોડકાઉનનો નિર્ણય કર્યો છે. સરકારે બે જુલાઈએ જાહેર કરેલી ગાઇડલાઇનમાં નવી જોગવાઇ ઉમેરીને શુક્રવારે સંશોધિત ગાઈડલાઈન જાહેર કરી હતી.


ઉત્તરાખંડના ચાર મોટા જિલ્લા દેહરાદૂરન, હરિદ્વાર, નૈનીતાલ અને ઉધમસિંહ નગરમાં શનિવાર અને રવિવાર સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ જિલ્લાઓમાં બે દિવસ જરૂરી સેવાઓ, ઔદ્યોગિક એકમો, કૃષિ અને બાંધકામ ગતિવિધિ, શરાબની દુકાનો, હોટલ ચાલુ રહેશે. આ ઉપરાંત અન્ય રાજ્યમાંથી આવતા લોકોને લઈ મોટો ફેંસલો લેવામાં આવ્યો છે. હવે પ્રતિદિન 1500થી વધારે લોકોને રાજ્યમાં પ્રવેશ નહીં આપવામાં આવે. જોકે, તેમાં ટ્રેન અને હવાઈ માર્ગે આવતાં યાત્રીઓનો સમાવેશ કરાયો નથી.





રાજ્યના મુખ્ય સચિવ ઉત્પલ કુમાર સિંહે શુક્રવારે સાંજે સંશોધિત ગાઈડલાઈન જાહેર કરી હતી. જે મુજબ અન્ય રાજ્યમાંથી આવતા લોકોએ સ્માર્ટ સિટી વેબ પોર્ટલ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટર્ડ લોકોની બોર્ડર પર ચકાસણી કરવામાં આવશે. ચેકપોસ્ટ પર રેંડમ કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ આવેલા વ્યક્તિએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય તથા રાજ્ય સરકારના પ્રોટોકોલનું પાલન કરવું પડશે.