નવી દિલ્હી: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. ખરાબ સ્વાસ્થ્યના કારણે મોતીલાલ વોરાને કાલે રાત્રે એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કાલે જ તેમનો જન્મદિવસ હતો. લાંબા સમય સુધી કૉંગ્રેસના કોષાધ્યક્ષ રહેલા મોતીલાલ વોરા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રહી ચૂક્યા છે.


મોતીલાલ વોરા ગાંધી પરિવારની નજીકના હતા. વર્ષ 2018માં વધતી ઉંમરનું કારણ આપી રાહુલ ગાંધીએ મોતીલાલ વોરા પાસેથી કોષાધ્યક્ષની જવાબદારી લઈ અહમદ પટેલને સોંપી હતી. અહમદ પટેલનું પણ થોડા દિવસો પહેલા નિધન થયું હતું. કૉંગ્રેસ માટે આ એક મોટો ઝટકો છે.

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત સહિત કૉંગ્રેસના અન્ય નેતાઓએ મોતીલાલ વોરાના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.



રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું, વોરાજી એક સાચા કૉંગ્રેસી અને અદ્ભૂત માણસ હતા. અમે તેમને ખૂબ જ યાદ કરશું. તેમના પરિવાર અને મિત્રો માટે મારી સંવેદના છે.