નવી દિલ્હીઃ દેશમાં કોરોના કેસ ઘટી રહ્યા છે ત્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કોરોનાની ત્રીજી લહેરને કેન્દ્ર સરકારને સાવચેત કરી છે. રાહુલ ગાંધીએ કોરોનાને લઈ શ્વેત પત્ર જાહેર કરીને કહ્યું, તેનો લક્ષ્ય દેશને ત્રીજી લહેર માટે તૈયાર કરવામાં મદદ કરવાનો છે. સમગ્ર દેશ જાણે છે કે કોરોનાની ત્રીજી લહેર આવવાની છે. તેથી અમે પણ કહી રહ્યા છીએ કે સરકરે ત્રીજી લહેરની પહેલાથી જ તૈયારી કરી લેવી જોઈએ. હોસ્પિટલોમાં ઓક્સિજન અને  દવાનો સ્ટોક કરી લેવો જોઈએ. બીજી લહેરની પણ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી.


એક દિવસમાં રેકોર્ડ રસીકરણ અંગે રાહુલ ગાંધીએ કહ્યું, રસીકરણની સારી શરૂઆત થઈ છે પરંતુ એક દિવસ નહીં રોજ મોટી સંખ્યામાં લોકોને રસી આપવી જોઈએ. કોરોનાને લઈ સરકારે તેમની ભૂલો પણ સુધારવી પડશે. કોવિડ દેશમાં જોરદાર નુકસાન પહોંચાડશે. પ્રથમ લહેરમાં હું બોલ્યો, બીજી લહેર પહેલા પણ હું બોલ્યો હતો અને હવે ત્રીજી લહેર પહેલા પણ બોલી રહ્યો છું. તેથી આપણે આજથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ.


દેશમાં ક્યારે આવશે ત્રીજી લહેર


કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.






દેશમાં 91 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા કેસ નોંધાયા છે. સાથે જ સતત ત્રીજા દિવસે 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 42,640 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 1167 લોકોના મોત થયા છે.  જ્યારે 81,839 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.


કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે


દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.29 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96 ટકા છે. એક્ટિવ કેસ ઘઠીને 3 ટકાથી ઓછો થયો છે. કોરના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.


રસીકરણે તોડ્યા રેકોર્ડ


દેશમાં સતત 40માં દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 20 જૂન સુધી દેશભરમાં 28 કરોડ 87 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 86 લાખ  16 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જે ભારતમાં અત્યાર સુધીમાં એક દિવસમાં આપવામાં આવેલા સૌથી વધુ રસીના ડોઝ છે. જ્યારે અત્યાર સુધી 39 કરોડ 40 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 16 લાખ 64 હજાર કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.