નવી દિલ્હી: કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસ સરકાર પર સંકટના રિપોર્ટ્સ વચ્ચે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને રાજ્ય પ્રભારી કેસી વેણુગોપાલ આજે સાંજે બેંગલુરૂ પહોંચશે. સુત્રોનું કહેવું છે કે આ બંને વરિષ્ઠ નેતા રાજ્ય સરકારના મંત્રીઓ, વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યો સાથે મુલાકાત કરી સંકટ દૂર કરવાના પ્રયાસ કરશે.


ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી બાદ ભાજપના નેતાઓ કહી રહ્યા હતા કે 23 મે બાદ કૉંગ્રેસ-જેડીએસ સરકાર પડી જશે. થોડા દિવસો પહેલા જ કૉંગ્રેસના બે ધારાસભ્યોએ ભાજપના નેતા એસ.એમ. કૃષ્ણા સાથે મુલાકાત કરી હતી, જેનાથી આ અટકળો થઈ રહી હતી. કર્ણાટકમાં કુલ 28 લોકસભા બેઠકોમાંથી આ વખતે ભાજપે 25 બેઠકો પર જીત મેળવી છે તો કૉંગ્રેસ-જેડીએસને 1-1 બેઠક મળી છે. એક બેઠક પર અપક્ષ સાંસદના ખાતામાં ગઈ છે.

રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં 225 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને 104, કૉંગ્રેસને 78, જેડીએસને 37, બસપાને 1 અને અન્યનને ત્રણ બેઠકો પર જીત મળી હતી.