ભોપાલ: મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કૉંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ખંડવા જિલ્લાની માંધતા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય નારાયણ પટેલે પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાનું રાજીનામું વિધાનસભા સ્પીકર રામેશ્વર શર્માએ આપ્યું છે. તેમણે રાજીનામાનો સ્વીકાર કર્યો છે.


મધ્યપ્રદેશ વિધાનસભામાં હવે 27 બેઠકો ખાલી થઈ ગઈ છે. કૉંગ્રેસ પાસે હવે 89 ધારાસભ્યો બચ્યા છે. થોડા દિવસો પહેલા 2 ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ લોધી અને સુમિત્રા દેવીએ પણ રાજીનામું આપ્યું હતું. ભાજપ દાવો કરતું રહ્યું છે કે કૉંગ્રેસના ઘણા ધારાસભ્ય તેમના સંપર્કમાં છે.

નારાયણ પટેલે આજે પોતાના ફેસબૂક પેજ પર ચંદ્રશેખર આઝાદની જયંતી પર તેમને શ્રદ્ધાંજલી આપી અને આ સાથે જ લખ્યું, 'આઝાદ હતો, આઝાદ છુ, આઝાદ રહીશ.' આ પહેલા તેમણે કહ્યું હતું કે અફવાઓથી બચો.

ઉલ્લેખનીય છે કે માર્ચ મહીનામાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાની નજીકના 22 ધારાસભ્યો સાથે કૉંગ્રસમાંથી બળવો કર્યો હતો. ત્યારબાદ કમલનાથની સરકાર લધુમતિમાં આવી ગઈ હતી અને તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

ત્યારબાદ સિંધિયા ભાજપમાં સામેલ થયા હતા. થોડા દિવસો બાદ ધારાસભ્યો પણ ભાજપમાં સામેલ થયા હતા. આ ખાલી બેઠકો પર પેટા ચૂંટણી થશે.