બિહારના કુટુમ્બામાં એક ચૂંટણી રેલીને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સૈન્ય વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતીય સેનામાં દેશની 10 ટકા વસ્તીનો કંન્ટ્રોલ છે. ભાજપે આ અંગે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસના નેતાએ તેમના ભાષણમાં ખેડૂતો, મજૂરો અને ગરીબોને અવગણવાનો આરોપ લગાવ્યો હતો.
સેના પર 10 ટકા લોકોનો કંન્ટ્રોલ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "જો તમે ધ્યાનથી જોશો તો દેશની 90 ટકા વસ્તી દલિત, મહાદલિત, પછાત, અત્યંત પછાત અથવા લઘુમતી સમુદાયોની છે. જો તમે 500 સૌથી મોટી કંપનીઓની યાદી જોશો તો તમને પછાત અથવા દલિત સમુદાયોમાંથી એક પણ વ્યક્તિ ત્યાં મળશે નહીં. તે બધા ટોચના 10 ટકામાંથી આવે છે. બધી નોકરીઓ તેમની પાસે જાય છે. સૈન્ય પર એ 10 ટકા લોકોનો કંન્ટ્રોલ છે. અન્ય 90 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ ક્યાંય મળશે નહીં."
'નીતીશ કુમારે બિહારના લોકોને મજૂર બનાવી દીધા'
મુખ્યમંત્રી નીતિશ કુમાર પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે, "બિહારના લોકો આખા દેશમાં મજૂર તરીકે કામ કરે છે. બિહારના લોકો દેશના વિવિધ ભાગોમાં મોટી ઇમારતો, રસ્તાઓ, ટનલ અને કારખાનાઓ બનાવે છે. સત્ય એ છે કે નીતિશ કુમારે અહીં રોજગારનો નાશ કર્યો છે અને બિહારના લોકોને મજૂર બનાવી દીધા છે. જેમ રિમોટથી ટીવી ચેનલ બદલી શકાય છે, તેવી જ રીતે મોદી અને શાહ મુખ્યમંત્રી નીતિશ કુમારની ચેનલ બદલી નાખે છે."
રાહુલ ગાંધી સેના વિરોધી છે: ભાજપ
ભાજપ નેતા પ્રદીપ ભંડારીએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમને ભારતીય સેના વિરોધી ગણાવ્યા હતા. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, "રાહુલ ગાંધી હવે આપણા સશસ્ત્ર દળોને જાતિના આધારે વિભાજીત કરવા માંગે છે. ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના જાતિ, સંપ્રદાય કે વર્ગના આધારે નહીં પરંતુ રાષ્ટ્ર પ્રથમ માટે કાર્ય કરે છે. રાહુલ ગાંધી આપણા બહાદુર સશસ્ત્ર દળોને નફરત કરે છે. તેઓ ભારતીય સેના વિરોધી છે."
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કે ભાજપે નીતિશ કુમારને કબજે કરી લીધા છે અને બિહારમાં ક્યારેય નીતિશ કુમાર સરકાર બનશે નહીં. તેમણે કહ્યું કે ભાજપ સરકાર ફક્ત મોટા મૂડીવાદીઓ માટે કામ કરી રહી છે, જ્યારે ખેડૂતો, મજૂરો અને ગરીબોના અધિકારોની અવગણના કરવામાં આવી રહી છે.