કૉંગ્રેસ દિલ્હીમાં 14 ડિસેમ્બરે કરશે મહારેલી, ‘મોદી હૈ તો મંદી હૈ’ના નારા સાથે સરકાર પર કરશે પ્રહાર
abpasmita.in | 12 Dec 2019 10:26 PM (IST)
રેલીમાં તમામ કૉંગ્રેસ શાસિત પ્રદેશના મુખ્યમંત્રી, વરિષ્ઠ નેતાઓ અને તમામ રાજ્યોના પ્રભારીઓને મંચ પર સ્થાન આપવામાં આવશે.
નવી દિલ્હી: કૉંગ્રેસ 14 ડિસેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં ‘ભારત બચાવો’ રેલી કરશે. જેના માટે પાર્ટીએ તમામ મોર્ચે કામ કરી રહી છે. રેલી દરમિયાન કૉંગ્રેસ મોદી સરકારને વિવિધ મુદ્દે ઘેરશે. કૉંગ્રેસ પાર્ટીએ રેલીમાં ભીડ એકઠી કરવા માટે તમામ પ્રદેશના અધ્યક્ષોને ટાર્ગેટ આપી દીધો છે. રેલીમાં તમામ કૉંગ્રેસ શાસિત પ્રદેશના મુખ્યમંત્રી, વરિષ્ઠ નેતાઓ અને તમામ રાજ્યોના પ્રભારીઓને મંચ પર સ્થાન આપવામાં આવશે. કૉંગ્રેસનું કહેવું છે કે, દેશનો તમામ વર્ગ ભાજપની નીતિઓથી પરેશાન છે. જીડીપી સતત ગગડી રહી છે સાથે દેશની અર્થવ્યવસ્થા તૂટી ગઈ છે. બેરોજગારી દરમાં વધારો થયો છે. મંદીના આ દોરમાં મોંઘવારીએ દેશની જનતાને વધુ સંકટમાં નાખી દીધી છે. ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યાં છે. પાર્ટીના સૂત્રોનું અનુસાર, લગભગ 20 હજાર જેટલા રાહુલ ગાંધીના માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. જેને યૂથ કૉંગ્રેસના યુવાનો પહેરીને રેલીમાં હાજર રહેશે. સાથે કાર્યકર્તાઓ ‘મોદી હૈ તો મંદી હૈ’ના સ્લોગનવાળી ટી શર્ટ પહેરીને પ્રદર્શન કરશે.