જયપુર: કૉંગ્રેસ આજે સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા મુખ્યાલય પર પર્દર્શન કરશે. આ પ્રદર્શન આજે સવારે 11 વાગ્યે થશે. પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ ગોવિંદ ડોટાસરાએ કાલે ટ્વિટ કરી કહ્યું, 'ભાજપા દ્વારા રાજસ્થાનમાં લોકતંત્રની હત્યાના ષડયંત્રની વિરૂદ્ધ કાલે (શનિવાર) સવારે 11 વાગ્યે તમામ જિલ્લા મુખ્યાલયો પર કૉંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવશે.'




કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સરકાર જનતાના બહુમતથી બને છે, રાજ્યપાલે વિધાનસભા સત્ર બોલાવવું જોઈએ.

રાહુલ ગાંધીએ #ArrogantBJP સાથે ટ્વિટ કરતા કહ્યું, 'દેશમાં સંવિધાન અને કાયદાનું સાશન છે. સરકાર જનતાથી બહુમતથી બને છે અને ચાલે છે. રાજ્યપાલ મહોદયે વિધાનસભાનું સત્ર બોલાવવું જોઈએ એટલે સત્ય દેશ સામે આવે.'

રાજસ્થાનના રાજકારણમાં દિન-પ્રતિદિન રસપ્રદ વળાંક આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાનના રાજકારણ અંગે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય રજૂ કર્યો કે વિરોધ વ્યક્ત કરવો તે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો એક ભાગ છે. ત્યારબાદ રાજસ્થાન હાઈકોર્ટે સચિન પાયલટને મોટી રાહત આપી છે. એટલે કે સ્પીકર ઈચ્છતા હોવા છતાં પણ પાયલટ તથા તેમના 18 સાથી ધારાસભ્યો સામે કોઈ કાર્યવાહી ન કરી શકે.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે રાજ્યપાલ એક અત્યંત મહત્વની ભૂમિકા સાથે ઉભરી આવ્યા છે. વિધાનસભાનું સત્ર બોલાવવા અંગે અશોક ગેહલોત અને રાજભવન વચ્ચે ટકરાવ શરૂ થઈ ગયો છે. ગેહલોત વિધાનસભા સત્ર બોલાવવાની માગ સાથે ધારાસભ્યોને લઈ રાજભવન પહોંચ્યા હતા. અહીં ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધરણા કર્યા.

રાજભવનમાં ધારાસભ્યોની ધરણા કરવાની ઘટના અંગે રાજ્યપાલ કલરાજ મિશ્રએ મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખ્યો અને પૂછ્યું કે ધારાસભ્યોના રાજભવન સામે ધરણા કરવા ખોટો ટ્રેન્ડ નથી ? રાજ્યપાલ કલરાજ મિશ્ર ધારાસભ્યોને મળવા માટે આવ્યા અને કહ્યું કે આટલી શોર્ટ નોટિસ પર વિધાનસભાનું સત્ર બોલાવવું શક્ય નથી. ગેહલોતે મુલાકાત બાદ કહ્યું- આશા છે કે બંધારણીય હોદ્દા પર બેઠેલા રાજ્યપાલ તેમનું કર્તવ્ય નિભાવશે. કોરોનાના વધતા કેસના કારણે રાજ્યપાલ હાલ વિધાનસભા સત્ર બોલાવવાના પક્ષમાં નથી.

રાજભવન ઘેરવાની ધમકી પર રાજ્યપાલે પોતાની સુરક્ષા જ ન હોવાનો બોંબ ફોડ્યો અને કહ્યું- હવે કઈ એજન્સી પાસે સુરક્ષા માગવી. જો કે, આજે ફરી ગેહલોત સરકાર સત્ર બોલાવવા માટે રાજ્યપાલને પ્રસ્તાવ મોકલશે.