નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 96 લાખને પાર પહોંચી ગઈ છે. સતત આઠમાં દિવસે 40 હજારથી નીચે નવા કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 32,981 નવા દર્દીઓ નોંધાયા હતા. જ્યારે વધુ 391 લોકોના કોરોનાથી મોત થયા હતા. જો કે, 39,109 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. કોરોના કેસ મામલે અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારત ત્રીજા નંબરે છે. જ્યારે કોરોનાથી મૃત્યુઆંક મામલે સાતમાં નંબરે છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં કુલ કેસ 96 લાખ 77 હજાર 203 પર પહોંચી ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 40 હજાર 577 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ત્રણ લાખ 96 હજાર 729 થઈ ગઈ છે. અત્યાર સુધી કુલ 91 લાખ 39 હજાર 901 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

ICMR અનુસાર 6 ડિસેમ્બર સુધી કોરોનાના કુલ 14,77,87,656 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 8,01,081 સેમ્પલ ગઈકાલે રવિવારે ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

મૃત્યુ દર અને રિકવરી રેટ

દેશમાં રિકવરી રેટમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 94 ટકા છે. એક્ટિવ કેસ 5 ટકાથી પણ ઓછા છે. જ્યારે મૃત્યુ દર 1.45 ટકા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ, મૃત્યુ દર અને રિકવરી રેટની ટકાવારી સૌથી વધારે છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ અને એક્ટિવ કેસ છે.