Omicron Maharashtra: દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને કારણે મોતનો પહેલો કેસ સામે આવ્યો છે. જોકે મહારાષ્ટ્ર સરકારે મૃત્યુનું કારણ કોરોના નથી માન્યું, પરંતુ તેમના મૃત્યુ બાદ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના રિપોર્ટમાં તે ઓમિક્રોન સંક્રમિત હોવાનું દર્શાવ્યું હતું.


આ વ્યક્તિ તાજેતરમાં નાઈજીરિયાથી પરત આવ્યો હતો. આ 52 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ વ્યક્તિ પિંપરી ચિંચવડમાં સારવાર હેઠળ હતો. મહાનગરપાલિકાની હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. આ વ્યક્તિ લગભગ 13 વર્ષથી ડાયાબિટીસથી પીડિત હતો.


વાસ્તવમાં મહારાષ્ટ્રમાં ફરી એકવાર સ્થિતિ બગડતી જોવા મળી રહી છે. રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ 5 હજાર 368 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રના મંત્રી બાલાસાહેબ થોરાટ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ગુરુવારે, કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના 198 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 190 કેસ એકલા મુંબઈમાં નોંધાયા હતા. રાજ્યમાં નોંધાયેલા 198 નવા ઓમિક્રોન કેસમાંથી માત્ર 30 જ તાજેતરમાં વિદેશ પ્રવાસે ગયા હતા. થાણે શહેરમાં ઓમિક્રોનના ચાર કેસ નોંધાયા છે જ્યારે સતારા, નાંદેડ, પુણે અને પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં પ્રત્યેક એક કેસ નોંધાયો છે.


મહારાષ્ટ્ર ફરી એક વાર સૌથી ખરાબ સંકટ


જો અત્યારે મુંબઈમાં જે સ્થિતિ જોવા મળી રહી છે તેવી જ સ્થિતિ રહી તો મુંબઈમાં દરરોજ 50 હજારથી લઈને 1 લાખ સુધી કોરોનાના નવા કેસ સામે આવી શકે છે. કોરોના સંક્રમણની ગતિને રોકવા માટે મહારાષ્ટ્ર સરકાર દર 24 કલાકે ટાસ્ક ફોર્સ સાથે બેઠક કરી રહી છે. આગામી 24 કલાકમાં રાજ્ય સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. એક વાત સ્પષ્ટ છે કે ગત વખતની જેમ મહારાષ્ટ્ર ફરી એકવાર સૌથી વધુ મુશ્કેલીમાં જોવા મળી રહ્યું છે. એટલા માટે ત્યાંના લોકોએ સૌથી વધુ સાવધ રહેવાની જરૂર છે.