નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વાયરસના કાળો કહેરથી ખળભળાટ મચી ગયો છે ત્યારે કોરોનાથી બચવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 6 લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે 106 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 1136ને પહોંચી ગઈ છે.




ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1136 સુધી પહોંચી છે. મહારાષ્ટ્રમાં વધુ સાત લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યાને 203 પર પહોંચી છે.



ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા શનિવારે જ 1000ને પાર પહોંચી હતી. જેના માટે દરેક રાજ્યોની સરકાર જનતાને અપીલ કરે છે કે, ઘરામાં રહો, કામ વગર ઘરની બહાર ન નીકળો.



કેરળ અને મહારાષ્ટ્ર દેશના બે એવા રાજ્યો છે જ્યાં કોરોનાના સૌથી વધારે દર્દી છે. દેશના 27 રાજ્યો કોરોના વાયરસની ચપેટમાં આવ્યા છે. દેશમાં મૃત્યુઆંક 27 પર પહોંચ્યો છે. 90 લોકો આ વાયરસની ચપેટમાં આવ્યા બાદ સાજા પણ થયા છે.



અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 6, ગુજરાતમાં પાંચ, કર્ણાટકમાં ત્રણ, મધ્યપ્રદેશમાં 2 અને તમિલનાડુ, બિહાર, પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં એક-એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.