નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને હવાની અવર જવર માટે મુકવામાં આવેલા વાલ્વવાળા N-95 માસ્ક પહેરવા સામે ચેતવણી આપી છે. પત્રમાં લખવામાં આવ્યા મુજબ, તેનાથી કોરોના વાયરસનું સંક્રમણ નથી રોકાતું અને કોવિડ-19 મહામારી રોકવા ભરવામાં આવેલા પગલાથી વિપરીત છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ ઓફિસર રાજીવ ગર્ગે રાજ્યોના આરોગ્ય વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને લખેલા પત્રમાં સામે આવ્યું કે, લોકો જેમાં શ્વાસ માટે વાલ્વ મુકવામાં આવ્યા હોય તેવા એન-95 માસ્કનો અયોગ્ય ઉપયોગ કરી રહ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આવા માસ્ક કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લેવામાં આવેલા પગલાથી વિપરીત છે, કારણકે તે વાયરસને માસ્કની બહાર આવવાથી રોકતા નથી.

આ બાબતને ધ્યાનમાં રાખી હું તમને આગ્રહ કરું છું કે, તમામ સંબંધિત લોકોને મોં કવર થાય તેનું પાલન કરાવો અને એન-95 માસ્કના બિનજરૂરી ઉપયોગને રોકો. સરકારે હવે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે છીદ્ર યુક્ત એન-95 માસ્ક સંક્રમણ રોકવામાં નિષ્ફળ છે.

હાલ મોટાભાગના લોકો એવું માને છે કે સાધારણ કપડાથી મોં કે ચહેરો કવર કરવા કરતાં એન-95 માસ્કનો ઉપયોગ વધારે સારો છે.