નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશન મહાઅભિયાનની શરુઆત કરાવશે. આ અવસર પર પીએમ મોદી CO-WIN એપ પણ લોન્ચ કરશે. આ પહેલા દેશભરમાં કોરોના વેક્સીન પહોંચાડવાનું કામ યુદ્ધના સ્તરે ચાલી રહ્યું છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટની રસી કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની રસી કોવેક્સીનને અત્યાર સુધી દેશના અનેક શહેરોમાં પહોંચાડી દેવાઈ છે.


સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે અને પહેલા જ દિવસે 13 રાજ્યોમાં કોરોનાની રસી પહોંચી હતી. કડક સુરક્ષા વચ્ચે પૂણેની સીરમ ઈંસ્ટીટ્યુટમાંથી હવાઈ માર્ગે દેશના 13 રાજ્યોમાં કોરોનાની રસીના 55 લાખ ડોઝ પહોંચાડવામાં આવ્યા હતા.

સ્વદેશી વેક્સીન કોવિક્સિનના 56 લાખ ડોઝ પણ સરકારે મંગળવારે સાંજે મેળવી લીધા હતા. દેશમાં 16 જાન્યુઆરીથી પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર અને ફ્રંટલાઈન વકર્સને રસી આપવાની શરૂઆત થશે.

ડીસીજીઆઈએ કોરોનાની બે રસીઓને ઈમરજંસી વપરાશ માટે મંજૂરી આપી છે. ત્યારે હાલ તો લોકોને કઈ રસી લેવી તેનો વિકલ્પ આપવામાં નહીં આવે. 28 દિવસના અંતરે રસીના બે ડોઝ અપાશે અને તે 14 દિવસે અસરકારક બનશે. તો ઝાડયસ, કેડિલા, ફાઈઝર, સ્પુતનિક સહિતની રસીઓ પણ ક્લિનિકલ ટ્રાયલના છેલ્લા તબક્કામાં છે. આગામી દિવસોમાં આ રસીઓને પણ ઈમરજંસી વપરાશની મંજૂરી આપવામાં આવી શકે છે.

પ્રથમ તબક્કામાં આરોગ્યકર્મીઓને અપાશે રસી

પ્રથમ તબક્કમાં ત્રણ કરોડ સ્વાસ્થ્યકર્મીઓને વેક્સીન આપવામાં આવશે. હેલ્થકેર કર્મીઓમાં ડૉક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા લોકોને આપવામાં આવશે. તેની સંખ્યા 80 લાખથી એક કરોડની વચ્ચે બતાવવામાં આવી રહી છે. લગભગ બે કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને પણ રસી આપવામાં આવશે. જેમાં રાજ્યોના પોલીસકર્મીઓ, પેરામિલિટરી ફોર્સ, સફાઈ કર્મચારી સામેલ છે.