નવી દિલ્લી: કોરોના સામે રક્ષણ આપવા માટે  દેશભરમાં રસીકરણ (Corona Vaccination) ઝુંબેશ ચાલી રહી છે. મોટા ભાગનાં લોકો માને છે કે, એક વાર રસી લીધા પછી સલામત થઈ જવાય છે અને કોઈ સાવચેતી રાખવાની જરૂર નથી પણ નિષ્ણાતોનું કહેવું છે કે, રસી લીધા પછી 28 દિવસ ભારે હોય છે અને રસી લેનારાંના મોનિટરિંગનો સમય 28 દિવસ સુધી કરી દેવો જોઈએ.


ભારત સરકારના એક ઉચ્ચ આરોગ્ય અધિકારી અને રાષ્ટ્રિય કક્ષાની  એડવર્સ ઇવેન્ટ્સ ફોલોઇંગ ઇમ્યુનાઇઝેશનનાં સભ્ય ડો. એન. કે. અરોરાનું કહેવું છે કે, હાલમાં, દેશમાં રસીકરણ પછી 72 કલાક સુધી લોકો પર મોનિટરિંગ રાખવામાં આવે છે પણ દેશનાં તમામ રાજ્યોએ રસી આપનારાંની મોનિટરિંગનો સમય 28 દિવસ સુધી કરી દેવો જોઈએ.


તેમણે કહ્યું કે મોનિટરિંગ માટે વધુ સમય જરૂરી છે અને તે ઘણા દેશોમાં થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે, હવે તમામ રાજ્યોએ સ્થાનિક અધિકારીઓનો સંપર્ક કરવો જોઇએ અને એક એવી સિસ્ટમ તૈયાર કરવી જોઈએ કે જેમાં રસી અપાયેલા લોકોની 28-દિવસની આડઅસરો સંબંધિત માહિતી મેળવી શકાય.


ડો.એન.કે.અરોરાનું કહેવું છે કે, હાલમાં બીજી ઘણી રસી બજારમાં આવવા માટે તૈયાર છે એ જોતાં રસીકરણ પછીની આડઅસરોનું મોનિટરિંગ વધારવું જોઈએ. ડો.એન.કે.અરોરાએ જણાવ્યું કે, અત્યાર સુધી રસી અપાયેલા 7 કરોડ લોકોનું મોનિટરિંગ પૂર્ણ થયું છે. આ પૈકી 0.5 ટકાથી ઓછા કેસોમાં રસીકરણ પછી ગંભીર આડઅસરો જોવા મળી છે. તેમણે કહ્યું કે આ બાબતનો સંપૂર્ણ રિપોર્ટ સરકારને સુપરત કરવામાં આવ્યો છે અને તેનાથી સંબંધિત ડેટા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે,  તમામ એઈએફઆઈ ડેટા ટૂંક સમયમાં જાહેર પોર્ટલ પર મુકવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે આ એક એવું પગલું છે, જેની તમામ આરોગ્ય નિષ્ણાતો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે.


18 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 29 લાખ 26 હજાર 460 ડોઝ આપવામાં આવ્યા છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,81,386 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4106 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,78,741 લોકો ઠીક પણ થયા છે. 



  • કુલ કેસ-  બે કરોડ 49 લાખ 65 હજાર 4563

  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 11 લાખ 74 હજાર 076

  • કુલ એક્ટિવ કેસ - 35 લાખ 16 હજાર 997

  • કુલ મોત - 2 લાખ 74 હજાર 390