મુંબઈ: ચીનથી ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસથી દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. મહારાષ્ટ્રમાં શનિવારે પાંચ નવા પોઝિટિવ કેસ સામે આવતા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 31 પહોંચી ગઈ છે. રાજ્ય હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપે જાણકારી આપતા કહ્યું કે, આ મહામારીને રોકવા માટે રાજ્ય સરકાર તમામ સંભવ પ્રયાસ કરી રહી છે. ચિંતાની કોઈ વાત નથી. હાલમાં સ્થિતિ કાબુમાં છે.


સરકારી આકંડા અનુસાર, કોરોના વાયરસથી સંક્રમિત લોકો પૂણેમાં 10, મુંબઈમાં 5, નાગપુરમાં 4, પનવેલ, કલ્યાણ, નવી મુંબઈ અને અહમદનગરમાં એક-એક છે.

સૂત્રો અનુસાર, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ખુદ મહારાષ્ટ્ર પોલીસના ઉચ્ચ અધિકારી, આરોગ્ય વિભાગના પ્રમુખ અધિકારી, ફૂડ સપ્લાઈ વિભાગના અધિકારી, કલેક્ટર, નગરપાલિકા કમિશ્નર જેવા મોટા અધિકારીઓ સાથે બેઠક કરી તૈયારીની સમીક્ષા કરી હતી.

સરકારે આ મામલાને ગંભીરતાથી લેતાં અગાઉથી જ તમામ સ્કૂલ કૉલેજ 31 માર્ચ સુધી બંધ રાખવા આદેશ આપ્યા છે. સાથે ટ્યૂશન ક્લાસિસ પર પણ રોક લગાવી દીધી છે.

સરકારે એપિડેમિક એક્ટ લાગુ કર્યા બાદ સિનમો હોલ, સ્વિમિંગ પુલ, જિમ, નાટ્યગૃહ બંધ કરવાના આદેશ આપ્યા હતા. તેમ છતાં કેટલાક સિનેમાં હોલ, જીમ ખુલ્લા જોવા મળ્યા હતા. સરકારે આદેશનું પાલન કરનારા પર કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.